મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

આવતી કાલે રજૂ થશે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' અંતર્ગત સામાજીક સસ્પેન્સ થ્રિલર નાટક 'અંતિમ અપરાધ'

ડો. રઇશ મણીયાર લિખિત અને વિરલ રાચ્છ દિગ્દર્શીત આ નાટકના દેશભરમાં યોજાઇ ગયા છે ૨૦૦થી વધુ શો : જામનગરની સંસ્થા થિએટર પિપલ્સ સર્જીત નાટકને 'અકિલા'ના માધ્યમથી વિનામુલ્યે માણવાનો અવસરઃ રંગભુમિના સુપરહીટ ટ્રેન્ડ સેટર તરીકે સ્થાપિત નાટકમાં અનેક નામી કલાકારોનો અદ્દભુત અભિનય : 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ' અત્યાર સુધીમાં ગુજરાત્રી' નિર્મિત 'કોકટેઇલ દેશી' ઉપરાંત 'લાઇફ મંત્ર', 'મોૈજે ગુજરાત-ટેલ્સ એન્ડ સોંગ્સ ઓફ ગુજરાત' તેમજ 'મેજીકલ મોટિવેશનલ શો-જયકારા' જેવી સફળત્તમ ઇવેન્ટસ આપી ચુકયું છે. આ વખતે નવા નઝરાણા રૂપે જબરદસ્ત નાટક લાવવામાં આવ્યું છે : સમય અને સ્થળ આવતીકાલે રાત્રે ૯.૩૦ વાગ્યે પ્રમુખસ્વામી ઓડિટોરીયમ રૈયા રોડ

રાજકોટ તા. ૮: 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ'એ અત્યાર સુધીમાં રાજકોટીન્સને ગુજરાતી સાહિત્યની દુનિયામાં એક પછી એક નવા-નવા નઝરાણાઓમાં રસતરબોળ કર્યા છે. ગુજરાત્રી, એ માટે એક પછી એક નવા નઝરાણા લાવી રહ્યું છે. અગાઉ ગુજરાત્રી' નિર્મિત 'કોકટેઇલ દેશી' 'લાઇફ મંત્ર', 'મોૈજે ગુજરાત-ટેલ્સ એન્ડ સોંગ્સ ઓફ ગુજરાત' તેમજ 'મેજીકલ મોટિવેશનલ શો-જયકારા' જેવી સફળત્તમ ઇવેન્ટસ આપ્યા પછી હવે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ'ના યુઝર્સ માટે આ વખતે નાટક લાવવામાં આવ્યું છે. આવતીકાલે રાત્રે ૯:૩૦ કલાકે રૈયા રોડ પરના પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમ ખાતે સામાજીક સસ્પેન્સ થ્રિલર નાટક 'અંતિમ અપરાધ' રજુ થશે. દરેક ઇવેન્ટ્સની જેમ જ આ વખતે પણ ફ્રી એન્ટ્રી માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ખુલતાની સાથે જ હાઉસફુલ થઇ ગયું હતું.

'અંતિમ અપરાધ' નાટક એવું નાટક બની ગયું છે જેના દેશભરના અલગ-અલગ રાજ્યોના જુદા-જુદા શહેરોમાં ૨૦૦થી વધુ શો સફળતા પુર્વક યોજાઇ ચુકયા છે. આરંભથી અંત સુધી જકડી રાખતું આ નાટક રાજકોટીયન્સને આવતી કાલે 'અકિલા'ના માધ્યમથી તદ્દન ફ્રીમાં માણવા મળવાનું છે.

 ટ્રેન્ડ સેટર સાબિત થઇ ચુકેલા આ નાટકનું જામનગરની થીએટર પીપલ સંસ્થા દ્વારા સર્જન કરવામાં આવ્યું છે. આ સંસ્થાએ તાજેતરમાં પચ્ચીસ વર્ષની ઉજવણી કરી છે. થિએટર પીપલ સંસ્થા બે દાયકાથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, યુવક મહોત્સવોમાં પોતાનો ડંકો વગાડ્યો છે. અનેક એવોર્ડ પણ આ સંસ્થાને મળ્યા છે. પ્રારંભે તો એકાંકી કે દ્વિઅંકી નાટકો જ આ સંસ્થા દ્વારા સર્જાતા હતાં. પરંતુ આગળ જતાં એવોર્ડ સાથે કોમર્શિયલ કહી શકાય તેવા નાટકોનું સર્જન કરવાની શરૂઆત થઇ અને તેમાં પણ ભરપુર સફળતા મળી. આ નાટકોમાં પ્રથમ કોમર્શિયલ નાટક બન્યું એ 'અંતિમ અપરાધ' છે.

આ નાટક પ્રારંભે ચિત્રલેખા મહોત્સવમાં રજુ થયું હતું. જેમાં ૨૦૧૩માં બેસ્ટ પ્લે, રાઇટર, ડિરેકટર, એકટર, એકટ્રેસ, સેટ ડિઝાઇન, સપોર્ટિંગ એકટર એમ નવ જેટલા એવોર્ડ મેળવી રેકોર્ડ સર્જ્યો હતો. જામનગરની સંસ્થા થીએટર પીપલના નાટક અગ્નિશીખાએ ૨૦૧૦માં નેશનલ લેવલે ગોલ્ડ એવોર્ડ મેળવ્યો હતો. યુવા મહોત્સવમાં આવો ગોલ્ડ મેડલ હજુ સુધી કોઇ સંસ્થાએ મેળવ્યો નથી. આ સંસ્થાએ અમેરિકામાં પણ અનેક નાટકો રજૂ કર્યા છે.

એ પછી આ નાટકદેશભરમાં મુંબઇ, અમદાવાદ, વડોદરા, બેંગ્લોર, કોલકત્તા, સુરત સહિતના શહેરોમાં રજુ થઇ ચુકયુ છે અને ૨૦૦થી વધુ હાઉસફુલ શો યોજાઇ ચુકયા છે. રંગભુમિની દુનિયામાં એક સમયે એટલે કે ૯૦ના દસકમાં સસ્પેન્સ-થ્રિલર નાટકોનો દબદબો હતો. ત્યારે આવા નાટકો જ ખુબ ચાલતાં હતાં. પરંતુ એ પછી ટ્રેન્ડ બદલાયો અને કોમેડી તથા સાસુ વહુ સહિતના વિષયોના નાટકો જ વધુ ચાલવા માંડ્યા હતાં. વર્ષો સુધી એટલે કે છેક ૨૦૧૩ સુધી આવા નાટકો જ ચાલ્યા હતાં. એ પછી ડો. રઇશ મણિયાર અને વિરલ રાચ્છની જોડીએ 'અંતિમ અપરાધ' કોમર્શિયલ લેવલે રજૂ કરતાં જ ધમાકો મચી ગયો હતો. આ સસ્પેન્સ થ્રિલર નાટકે સોૈને ઘેલુ લગાડ્યું છે.

ડો. રઇશ મણિયાર અને વિરલ રાચ્છની લેખક-દિગ્દર્શકની જોડી લવ યુ જિંદગીથી શરૂ થઇ હતી. એ પછી અંતિમ અપરાધ નાટક એમનું સુપરહિટ નાટક સાબિત થયું છે. આ જોડીએ બીજા પાંચ નાટકો પણ એક પછી એક સુપરહિટ આપ્યા છે. હવે આ જોડીનું અંતિમ અપરાધ નાટક રાજકોટમાં આવતીકાલે રવિવારે રાતે 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ'ના માધ્યમથી રજૂ થવાનું છે. જે રાજકોટીયન્સ વિનામુલ્યે માણી શકશે.

ફ્રી રજીસ્ટ્રેશન કરાવી ચુકેલા લોકો અને આમંત્રિતોએ સમયસર સ્થાન મેળવી લેવું: બેઠક વ્યવસ્થા વહેલા તે પહેલાના ધોરણે

. અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ આયોજીત સામાજીક સસ્પેન્સ થ્રિલર નાટકનુું  આયોજન માત્ર આમંત્રિતો અને અકિલા ઇન્ડ્યિા ઇવેન્ટ્સના રજીસ્ટર્ડ તેમજ નવા યુઝર્સ માટે કરવામાં આવ્યું છેે. આ નાટકને વિનામુલ્યે માણવા માટે તા. ૪ ફેબ્રુઆરીએ બપોરે ૧ વાગ્યાથી gujratri.in પર રજીસ્ટર્ડ યુઝર્સ અને નવા યુઝર્સ દ્વારા ફ્રી રજીસ્ટ્રેશન થઇ ચુકયું છે. રજીસ્ટ્રેશન શરૂ થયાના થોડા જ સમયમાં હાઉસફુલ થઇ ગયું હતું. જેણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે તમામ દર્શકોને નાટકમાં એન્ટ્રી વહેલા તે પહેલાના ધોરણે જ થશે અને મોબાઇલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન ચેક કરાવ્યા પછી પ્રવેશ મેળવી શકાશે. વહેલા તે પહેલાના ધોરણો દર વખતની જેમ આ વખતે પણ અમલમાં રહેશે.

હસવું પણ આવશે, લાગણીથી આંખો ભીની થઇ જશે...તો રહસ્યના આટાપાટામાં અટવાઇ પણ જશો

. 'અંતિમ અપરાધ' નાટકમાં દર્શકો આરંભથી અંત સુધી જકડાઇ રહે અને ખુરશી છોડવાનો વિચાર પણ ન કરે તેવા તમામ પાસાઓ નિહાળવા મળશે. સામાજીક સસ્પેન્સ થ્રિલર એવા આ નાટકમાં કલાકારો જય વિઠ્ઠલાણી, રોહિત હરિયાણી, રાજલ પુજારા, પ્રતિક શુકલ, પિયુષ ખખ્ખર, ધૈર્ય ચોટાઇ, પ્રિયંકા પટેલ, મુકુંદ ભંડેરી, દર્શ વિઠ્ઠલાણી અને વિરલ રાચ્છએ અભિનયના ઓજસ પાથર્યા છે. જય અને વિરલ તો અનેક એવોર્ડ પણ જીતી ચુકેલા કલાકાર છે. આ બધા સાથે મળીને અંતિમ અપરાધ નાટક રજૂ કરી દર્શકોને સતત જકડી રાખશે તેમાં કોઇ શંકા નથી. નાટકમાં બે એવા લોકોની કથા કે જેને જિંદગીએ એવા વળાંકમાં મુકી દીધા છે કે જ્યાં તેની પાસે બીજો કોઇ રસ્તો બચતો નથી. બંને અલગ-અલગ છેડે જીવતા હોય છે અને સંજોગો તેને એવી રીતે એકબીજાની સામે લાવે છે જેના કારણે સર્જાય છે રહસ્ય અને રોમાંચ. નાટક જોતી વખતે તમને હસવું આવશે, તો કયારેક લાગણીભીના થઇને તમે આંસુ પણ વહાવવા મજબૂર થઇ જશો. તો આગળની ક્ષણોમાં તમે રહસ્યના આટાપાટામાં અટવાઇ પણ જશો.

(11:41 am IST)