ચીનને કારણે ભારતીય આઇટી ઉદ્યોગની મુશ્કેલી વધશે
પ્રતિબંધોને કારણે આઇટી કંપનીઓના કામકાજને અસર થશે : ૧૦ મી પછી સ્થિતિ સ્પષ્ટ થવાની ધારણા
બેંગ્લોર, તા., ૮: ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ વધવાથી ભારતીય આઇટી ઉદ્યોગની મુશ્કેલીઓ વધી શકે છે. સુત્રો અનુસાર ત્યાં અવર જવર પર લાગેલા પ્રતિબંધોના કારણે આગામી સમયમાં આ કંપનીઓના કામકાજને અસર થવાની અશંકા છે. જો કે અત્યાર સુધી આ કંપનીઓએ ચીનમાં પોતાના કર્મચારીઓને ઘરેબેઠા કામ કરવાની પરવાનગી આપી દીધી છે કેમ કે ત્યાં નવા વર્ષની રજાઓ લંબાવી દેવાઇ છે. આઇટી ઉદ્યોગના સુત્રો અનુસાર ચીનમાં ભારતીય કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને કામ પર રાખ્યા છે. ત્યાં તેમના કર્મચારીઓની સંખ્યા રર૦૦૦થી વધારે છે. તેમાં સ્થાનીક લોકો ઉપરાંત ભારતીયો પણ સામેલ છે. દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસના ચીનમાં ૪૦૦૦થી વધારે કર્મચારી છે જયારે ઇન્ફોસીસ અને વિપ્રોમાં કર્મચારીઓની સંખ્યા ર હજારથી વધારે છે.
સોફટવેર સર્વિસ ઉદ્યોગની સંસ્થા નેશનલ એસોસીએશન ઓફ સોફટવેર એન્ડ સર્વિસીસ કંપનીઝ (નેસકોમ) પોતાના સલાહકારોને ચીન મોકલી રહી છે. અને વચ્ચે બનાવાયેલ ગ્રુપો દ્વારા સભ્ય કંપનીઓના કર્મચારીઓ સાથે સંપર્કમાં છે. સભ્યછ કંપનીઓએ પણ પોતાના કર્મચારી સાથે જોડાયેલા રહેવા વચ્ચેના ગ્રુપ બનાવ્યા છે. નેસકોમના ગ્લોબલ ટ્રેડ ડેવલપમેન્ટના સીનીયર ડાયરેકટર ગવગન સબરવાલે કહયું કે લોકોને ઘરેથી જ કામ કરવાની સલાહ આપવામાં આવી છે અને બહુ જરૂરી હોય તો જ ઘરેથી નીકળવાનું કહેવામાં આવ્યું છે. કોરોના વાયરસનો પ્રકોપ નવા વર્ષના સમયે જ ફેલાયો છે. એટલે ત્યાં દરેક પોતાની રજાઓ લંબાવી છે ૧૦ ફેબ્રુઆરીએ ઓફીસો ખુલે પછી પરિસ્થિતિની સમિક્ષા થશે. તેમણે કહયું કે અત્યાર સુધી કોઇ કર્મચારીને વાયરસનો ચેપ લાગ્યાના સમાચાર નથી પણ સભ્ય કંપનીઓએ ફેસમાસ્કનો અનુરોધ કર્યો છે. વાયરસનો ચેપ ફેલાવાનું શરૂ થયા પછીથી ત્યાં ફેસ માસ્કની અછત થઇ ગઇ છે