મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

PNBમાં ભળી જશે OBC બેંક : ૧લી એપ્રિલ બાદ જાહેર થશે નવી બેંકનું નામ - લોગો

મર્જર બાદ પંજાબ નેશનલ બેંક દેશની બીજી સૌથી મોટી બેંક બનશે

નવી દિલ્હી તા. ૮ : કેન્દ્ર પંજાબ નેશનલ બેંક (PNB), યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા (United Bank of India) અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC) ના વિલય બાદ બનનારા એકમ માટે નવું નામ અને પ્રતીક ચિહ્રનની જાહેરાત કરશે. બેન્કના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી છે. નવા એકમ ભારતીય સ્ટેટ બેન્ક બાદ દેશની બીજી સૌથી મોટી બેન્ક હશે. જેનો કુલ વેપાર આકાર ૧૮ લાખ કરોડ રૂપિયા હશે. ગત વર્ષે સરકારે પીએનબીમા અન્ય બે બેન્કમાં મર્જર કરવાનો નિર્ણય કર્યો હતો. આ મર્જર બાદ પીએનબી દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક બની જશે.

યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સરકાર મર્જર પછી બનનારા એકમના નવા નામ અને લોગોની રચના કરવાની જાહેરાત કરશે. તે ૧ એપ્રિલ, ૨૦૨૦થી અમલમાં આવશે. તેમણે કહ્યું કે નવી બેંકની ઓળખ બનાવવા માટે લોગો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્રણેય જાહેર ક્ષેત્રની બેંકોમાં આ અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા કરવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું કે ત્રણેય બેંકોની પ્રક્રિયાઓને માનક બનાવવા અને સંકલન માટે ૩૪ સમિતિઓની રચના કરી હતી. સમિતિઓએ સંબંધિત અહેવાલો સંબંધિત ડિરેકટર મંડળને સુપરત કર્યા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, અગ્રણી બેંક પીએનબીએ માનકતા અને સંકલનની દેખરેખ માટે સલાહકાર Ernst & Young (E&Y) ની નિમણૂક કરી છે. આમાં માનવ સંસાધનો, સોફટવેર, ઉત્પાદનો અને સેવાઓથી સંબંધિત બાબતો સામેલ છે. અધિકારીના મતે, મર્જર પછી રચાયેલા યુનિટમાં કર્મચારીઓની સંયુકત સંખ્યા એક લાખ હશે ગ્રાહકો પર શું અસર પડશે?

- ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઇડી મળી શકે છે.

- જે ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર કે IFSC કોડ મળશે તેમણે નવી ડિટેલ્સ ઇનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ, ઇન્સ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેન્શન સ્કીમ સહિતમાં અપડેટ કરાવવા પડશે.

- SIP કે લોન EMI માટે ગ્રાહકોને નવો ઇંસ્ટ્રકશન ફોર્મ ભરવું પડી શકે છે.

- નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇશૂ થઇ શકે છે.

- ફિકસ્ડ ડિપોઝિટ કે રેકરિંગ ડિપોઝિટ પર મળનારા વ્યાજમાં કોઇ બદલાવ થશે નહીં.

- જે વ્યાજ દર પર વ્હીકલ લોન, હોમ લોન, પર્સનલ લોન લેવામાં આવી છે તેમા કોઇ બદલાવ થશે નહીં.

- કેટલીક શાખાઓ બંધ થઇ શકે છે. જેથી ગ્રાહકોને નવી શાખાઓમાં જવું પ઼ડી શકે છે.

- મર્જર બાદ એંટિટીને દરેક ઇલેકટ્રોનિક કલીયરિંગ સર્વિસ નિર્દેશો અને પોસ્ટ ડેટેડ ચેકને કલીયર કરવા પડશે.

(11:33 am IST)