ઓડિટ કંપનીઓ, ઓડિટરો જવાબદારીમાંથી છટકી શકશે નહીં
સરકારે ઓડિટરોની સ્વતંત્રતા અને જવાબદારી વધારવા માટે પ્રવર્તમાન નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવાન પ્રસ્તાવ મૂકયો છે
નવી દિલ્હી, તા.૮: સરકારે ઓડિટરોની સ્વતંત્રતા અને જવાબદારી વધારવા માટે પ્રવર્તમાન નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કરવાન પ્રસ્તાવ મૂકયો છે. સરકારે પ્રસ્તાવિત કાયદાકીય ફેરફાર માટે સુચનપત્ર જારી કર્યું છે. આ સુચન પત્ર એવા સમયે જારી કરવામાં આવ્યું છે જયારે દ્યણા ઓડિટરો અને ઓડિટ કંપનીઓ કથિત રીતે ગેરરીતિ આચરવાના મામલે નિયામકીય તપાસના ઘેરામાં આવી ગઇ છે.
આ કન્સલ્ટેશન પેપરમાં ઓડિટરોની સ્વતંત્રતાની માટે પાંચ જોખમ ઉપર અંકુશ મૂકવાની સલાહ આપી છે. આ જોખમો સ્વાર્થ, સ્વ-સમીક્ષા, સમર્થન, હિમાયત અને ભય સાથે સંબંધિત છે. પત્રમાં એક ચેપ્ટર ચાર મોટી ઓડિટ કંપનીઓની આર્થિક અસર અને ઘરેલુ ભારતીય કંપનીઓની ક્ષમતા નિર્માણની જરૂરીયાત અંગેનો છે. જેમાં ઘરેલુ કંપનીઓને વૈશ્વિક સંગઠનોની સમકક્ષ બનાવવાની વાત કરી છે.
પીડબ્લ્યુસી, ડેલોઇટ, ઇવાઇ અને કેપીએમજીને સામાન્ય રીતે ચાર મોટી ઓડિટ કંપની માનવામાં આવે છે. આ કંપનીઓ સ્થાનિક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીઓના નેટવર્ક મારફતે ભારતમાં કામગીરી કરે છે.
મંત્રાલયે આ અંગે ટિપ્પણીઓ- સૂચનો માંગ્યા છે કે શું એક ઓડિટ કંપનીના છત્ર હેઠળ ઓડિટની સંખ્યા દ્યટાડવાની જરૂર છે. તે ઉપરાંત ઓડિટરોની જવાબદેહીતામાં સુધારણાને લઇ ઓડિટ કામગીરીનું નિરીક્ષણ અને કમ્પોઝિટ ઓડિટ કવોલિટી ઇન્ડેકસ તૈયાર કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ પ્રસ્તાવ અંગે ૨૮ ફેબ્રુઆરી સુધી ટિપ્પણીઓ મંગાવવામાં આવી છે. કંપની બાબતોનું મંત્રાલય કંપનીઝ એકટનું અમલીકરણ કરે છે.