ભારતના સુવર્ણ ઇતિહાસને યોગ્ય રીતે નથી બતાવાયોઃ સુધારવાનો સમય આવી ગયો : ડો.વૈદ્ય
હૈદ્રબાદ ખાતે સંઘની ત્રણ દિવસીય બેઠકનું સમાપન : ૨૦૧૭ થી ૨૦૨૧ દરમિયાન દર વર્ષે ૧.૨૫ યુવાઓ સંઘ સાથે જોડાયા : કોરોના બાદ પુનઃ શાખાઓ શરૂ કરવાનું કાર્ય ચાલુ
હૈદ્રબાદ,તા. ૮ : આરએસએસ જણાવેલ કે ભારતના ઇતિહાસને યોગ્ય રીતે નથી બતાવાયો. તેને હવે સુધારવાનો સમય આવી ગયો છે. સંઘના સહ સરકાર્યવાહ ડો.વૈદ્ય ત્રણ દિવસીય સમન્વય બેઠકના અંતિમ દિવસે મીડીયાને જણાવેલ કે ભારતના ઇતિહાસમાં આપણી સમૃધ્ધ સંસ્કૃતિને નજર અંદાજ કરવામાં આવેલ. હાલની અને આવનાર પેઢીને દેશની આધ્યાત્મિક સંસ્કૃતિથી પરિચિત કરાવવા જોઇએ.
ડો.વૈદ્યે જણાવેલ કે આ બેઠક સંઘ સાથે જોડાયેલ ૩૬ સંગઠનોના અનુભવને એકત્ર કરવા માટે કરવામાં આવેલ. આ બેઠકમાં કોઇ નિર્ણય નથી લેવામાં આવ્યો. દેશમાં હાલ ૫૫ હજાર શાખાઓ ચાલી રહી છે. કોરોનાની પહેલી લહેરથી બંધ થયેલ શાખાઓને ફરી શરૂ કરવાનું કામ ચાલી રહ્યુ છે. ૯૫ ટકા ફરી શરૂ થઇ ગઇ છે. આ પ્રકારે ૯૮ ટકા સાપ્તાહીક મિલન અને ૯૭ ટકા માસીક શાખાઓ શરૂ થઇ ગઇ છે. ૨૦૧૭થી ૨૦૨૧ સુધી ‘જોઇન આરએસએસ'ના માધ્યમથી દરેક વર્ષે ૧ થી ૧.૨૫ લાખ યુવાઓ સંઘ સાથે જોડાયા છે.