પોલીસ સંકલનમાં અભાવઃ ખેડૂતોનું અચાનક પ્રદર્શન
પીએમ સુરક્ષા ચૂક મામલે પંજાબ સરકારનો રીપોર્ટ
ચંદીગઢ, તા. ૮:. પીએમ મોદીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબ સરકાર દ્વારા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવેલા રીપોર્ટમાંથી વધુ એક માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પંજાબ સરકારે રીપોર્ટમાં કહ્યુ છે કે ભટીંડા એસએસપીએ ફીરોજપુર એસએસપી પર આરોપ મુકયો છે કે તેઓએ પોેતાના અધિકારોનો દુરૂપયોગ કર્યો હતો. તેઓએ પોેતાના અધિકાર ક્ષેત્રમાં દેખાવકારોને પીએમ મોદીના રૂટમાં જવા દીધા હતા.
રીપોર્ટમાં જણાવાયુ છે કે ખેડૂતોનો વિરોેધ અચાનક થયો હતો. મામલામાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને ચૂકની તપાસ માટે એક પેનલની રચના કરવામાં આવી છે. પંજાબ સરકારે રીપોર્ટમાં ઘટનાનો ક્રમ પણ જણાવ્યો છે.
પંજાબ સરકારે ગુરૂવારે રાત્રે પોતાનો રીપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલ્યો છે. જાણવા મળે છે કે, પંજાબના મુખ્ય સચિવે પીએમ મોદીની સુરક્ષામાં ચૂકના કારણોના તથ્યો સાથે એક રીપોર્ટ મોકલ્યો છે. જાણકારી અનુસાર ફીરોજપુરમાં પીએમની સુરક્ષામાં લાગેલા સિનીયર ઓફિસરો સાથે વાત કરી આ રીપોર્ટ તૈયાર કરાયો છે. સૂત્રોનું કહેવુ છે કે આ રીપોર્ટમાં એવુ જણાવાયુ છે કે સમગ્ર પંજાબમાં પીએમની મુલાકાતનો વિરોધ થઈ રહ્યો હતો. વિરોધ અને દેખાવોને ધ્યાનમાં રાખી વધારાના સુરક્ષા દળોને તૈયાર રાખવામા આવ્યા હતા.