શિવસેના-ભાજપની ફરી યુતિ થશે?
ઉદ્ઘવ ઠાકરેના એક નિવેદનથી રાજકીય વર્તુળમાં શિવસેના અને ભાજપ યુતિ કરશે આ બાબતે ફરી ચર્ચા
મુંબઈ, તા.૭: મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહારાષ્ટ્ર વિકાસ આદ્યાડી સરકારની સ્થાપના થઇ ચૂકી છે. શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદના શપથ પણ લઇ લીધા છે. એવામાં ઉદ્ઘવ ઠાકરેના એક નિવેદનથી રાજકીય વર્તુળમાં શિવસેના અને ભાજપ યુતિ કરશે આ બાબતે ફરી ચર્ચા શરૂ થઇ છે. ભાજપના નેતા સુધીર મુનગંટીવારની દીકરીના લગ્ન નિમિત્ત્।ે મુંબઈમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના વિવિધ પક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી લગાવી હતી. મુખ્ય પ્રધાન ઉદ્ઘવ ઠાકરેએ પણ આ કાર્યક્રમમાં ગયા હતા. સુધીર મુનગંટીવારની મુલાકાત લીધા બાદ ઉદ્ઘવ ઠાકરેની મુલાકાત ભાજપના મુંબઈ અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢા સાથે થઇ. આ સમયે તેમની વચ્ચે થયેલી ચર્ચામાં ઉદ્ઘવ ઠાકરેએ 'મંગલજી મૈં જૈસા થા, વૈસે હી હૂં ઔર આગે ભી વૈસે હી રહુંગા', એવું નિવેદન કર્યું હતું. આ નિવેદનની પ્રચંડ ચર્ચા હાલમાં રાજકીય વર્તુળમાં શરૂ છે. ઠાકરેના આ નિવેદન બાદ ભવિષ્યમાં રાજકીય સમીકરણ બદલાઇ શકે અથવા શિવસેના-ભાજપ ફરી એકવાર સાથે આવી શકે, એવી ચર્ચાને વેગ મળ્યો છે.