મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

સોરાબુદ્દીન પ્રકરણમાં ૨૧ ડિસેમ્બરે ચુકાદો જાહેર થશે

તર્કદાર દલીલોનો દોર પરિપૂર્ણ કરી લેવાયો : મુંબઈની ખાસ અદાલત સોરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ અને કોસરબી મામલે ચુકાદો જાહેર કરશે

મુંબઈ, તા. ૭ : કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)ની એક ખાસ અદાલત રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાતા સૌરાબુદ્દીન અનવર શેખ, તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર મામલા અને કૌસરબી હત્યા મામલામાં ૨૧મી ડિસેમ્બરના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવશે. મામલામાં અંતિમ ચર્ચા ૩જી ડિસેમ્બરના દિવસે શરૂ કરવામાં આવી હતી. સીબીઆઈની ખાસ અદાલતમાં સુનાવણી ચાલી હતી.  સીબીઆઈના ખાસ ન્યાયાધીશ એસજે શર્માની સમક્ષ પાંચમી ડિસેમ્બરના દિવસે સુનાવણી અને ચર્ચા પૂર્ણ કરી લેવામાં આવી હતી. વર્ષ ૨૦૦૫ દરમિયાન ગેંગસ્ટર  સોરાબુદ્દીન અને પ્રજાપતિને કથિત બનાવટી એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ સોરાબુદ્દીનના પત્નિ કોસરબી લાપત્તા થવાને લઇને દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. એવી દલીલ કરવામાં આવી હતી કે, સોરાબુદ્દીનના સંબંધ આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબા સાથે હતા અને તે એક મહત્વપૂર્ણ નેતાની હત્યાના કાવતરામાં સામેલ હતો. તત્કાલિક મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. મામલામાં કુલ ૩૭ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૪માં ૧૬ લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. મુક્ત કરવામાં આવેલા લોકોમાં ગુજરાતના તત્કાલિન ગૃહમંત્રી અને હાલના ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રાજસ્થાનના તત્કાલિન ગૃહમંત્રી જીસી કટારિયા, ગુજરાતના પૂર્વ પોલીસ મહાનિદેશક ડીજી વણઝારા, આઈપીએસ અધિકારી એલકે અમીન અને અન્ય ૧૨ પોલીસ અધિકારીઓ સામેલ હતા. સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર ૨૦૧૨ના એક આદેશ હેઠળ આ મામલાને ગુજરાતમાંથી ખસેડીને મુંબઈમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સોરાબુદ્દીન કેસને લઇને ભારે ખળભળાટ રહ્યો હતો. રાજકીય ગરમી જામી હતી. ભાજપના હાલના પ્રમુખ અમિત શાહ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. સોરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર મામલાના કારણે અનેક ટોચના પોલીસ અધિકારીઓ સકંજામાં આવ્યા હતા. તેમને કાયદાકીય સકંજાનો સામનો લાંબા સમય સુધી કરવો પડ્યો હતો. આ મામલામાં નરેન્દ્ર મોદી ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સોરાબુદ્દીન કેસને લઇને હવે જાહેર કરવામાં આવનાર ચુકાદા ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. અંતિમ ચર્ચા ત્રીજી ડિસેમ્બરે શરૂ કરવામાં આવ્યા બાદ બે દિવસ સુધી ચર્ચા ચાલી હતી. પાંચમી ડિસેમ્બરના દિવસે ચર્ચા પૂર્ણ કરી લેવામાં આવી હતી. દલીલોની સુનાવણી પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે ચુકાદો જાહેર કરાશે.

સોરાબુદ્દીન પ્રકરણ.....

*    સોરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટરના મામલામાં ૨૧મી ડિસેમ્બરના દિવસે ચુકાદો જાહેર કરાશે

*    મુંબઈની ખાસ અદાલતમાં દલીલોનો દોર પરિપૂર્ણ કરી લેવાયો

*    મુંબઈની ખાસ અદાલત દ્વારા હવે ચુકાદો જાહેર કરાશે

*    સોરાબુદ્દીન અને તુલસી એન્કાઉન્ટર અને કોસરબીની હત્યાના મામલામાં ચુકાદો જાહેર કરવામાં આવશે

*    નરેન્દ્ર મોદીની હત્યા માટે કાવતરુ ઘડવામાં આવ્યું હોવાની વાત આ કેસમાં સપાટી પર આવી હતી

*    સોરાબુદ્દીન કેસના કારણે ગુજરાતભરમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ ગઈ હતી

*    ભારે હોબાળો થયા બાદ આ કેસને મુંબઈ ખસેડાયો હતો

(7:24 pm IST)