વિજય માલ્યાને તમાચો : સુપ્રિમ કોર્ટે ઇડીની કાર્યવાહી ઉપર સ્ટે મુકવાની અરજી ફગાવી દીધી
૯૦૦૦ કરોડના કૌભાંડીને ભારત લાવવાની પ્રક્રિયા વેગમાં
નવી દિલ્હી તા. ૭ : વિજય માલ્યાને તેને ભાગેડુ આર્થિક અપરાધી ઘોષિત કરવા માટે મુંબઇની કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે ઇડીને નોટીસ ફટકારી છે.
પ્રધાન ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ એસ.કે.કૌલની પીઠે અરજી પર તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો. ધન સંશોધન રોકથામ કાયદા હેઠળ વિશેષ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વિરૂધ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. ઇડીએ વિશેષ કોર્ટને લંડનમાં રહેતા ઉદ્યોગપતિ માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ, ૨૦૧૮ હેઠળ ભાગેડુ આર્થિક ઘોષિત કરવાની માંગ કરી હતી. માલ્યાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટીસ ફટકારી પરંતુ મુંબઇની વિશેષ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવાની મનાઇ કરી.
મુંબઇ હાઇકોર્ટે હાલમાં માલ્યાની અપીલ ફગાવી દીધી હતી. ત્યારબાદ માલ્યાએ હાઇકોર્ટના આદેશ વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, સંપત્તિઓને જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવામાં આવે. બોમ્બે હાઇકોર્ટે ૨૨ નવેમ્બરે માલ્યાની અરજીને ફગાવી દેવામાં આવી હતી. જેમાં કોર્ટે ઇડીની કાર્યવાહીને ચાલુ રાખવા કહ્યું હતું. ઇડીએ માલ્યાને આર્થિક અપરાધી ઘોષિત કરવાની માંગ કરી છે.
ઇડીનું કહેવું છે કે, માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી ઘોષિત કરવામાં આવે અને તેની સંપત્તિ જપ્ત કરવામાં આવે. એટલું જ નહિ એફઇઓ કાયદાની જોગવાઇ હેઠળ નિયંત્રણમાં લાવવામાં આવે.(૨૧.૨૩)