ભાજપનો નવો વ્યુહઃ મોદી-રાહુલની સરખામણી આધારિત જ પ્રચાર
અન્ય મુદ્દાઓ નહિ જામતા હવે બે મુખ્ય પ્રતિસ્પર્ધીઓના વ્યકિતને જ ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસઃ લોકસભાની ચૂંટણી વખતે લોકો વડાપ્રધાન પદ માટે બંન્નેની તુલના કરે તો પહેલી પસંદ મોદી જ બને તેવી ભાજપની ધારણા
રાજકોટ તા.૬: લોકસભાની ચૂંટણીમાં અન્ય કોઇ મુદ્દા ચાલે કે ન ચાલે ભાજપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વ્યકિતત્વને જ પ્રચારનો મુદ્દો બનાવવાની દિશા પકડયાનું ભાજપના ટોચના વર્તુળો જણાવે છે. દેશના મતદારો બંન્નેની પ્રતિભાની સરખામણી કરે તો તેમાં પહેલી પસંદ મોદી જ બને તેવી આશા સાથે ભાજપે દેશવ્યાપી પ્રચાર અભિયાનો ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ખુદ મોદી પણ છેલ્લા કેટલાક સમયથી 'નામદાર સામે કામદાર' જેવા શબ્દ પ્રયોગ કરી આગામી સમયના ભાજપા પ્રચારના એંધાણ આપી રહયા છે.
ભાજપે વિકાસ, રામ મંદિર, રાષ્ટ્રવાદ વગેરે મુદ્દા ઉપસાવવા પ્રયાસ કર્યા છે પણ તેને અપેક્ષા મુજબ જન-પ્રતિસાદ મળતો નથી તેથી હવે વડાપ્રધાન પદ માટે કોણ યોગ્ય? તેવા મતલબના સવાલ સાથે મોદી-ગાંધીની સરખામણી કરવામાં આવશે.
ભાજપ માટે ૨૦૧૪ કરતા અત્યારે પરિસ્થિતિ જુદી છે. તે વખતે વચનો આપવાના હતા હવે કામગીરીનો હિસાબ આપવાનો છે. સરકાર સામે જેે લોકો નારાજ છે તેની નારાજગી દૂર કરીને ભાજપ તરફી જુવાળ સર્જવા માટે નવો મુદ્દો જરૂરી છે. ચૂંટણી સુધીમાં અન્ય કોઇ પ્રભાવક મુદ્દા ન મળે તો મોદી-રાહુલની સરખામણીનો મુદ્દો હાથવગો રાખવાની ભાજપે તૈયારી કરી છે. રાહુલના જુદા-જુદા સમયના પ્રવચનો, નિવેદનો વગેરેના આધારે પ્રચારનો મસાલો ભાજપ તૈયાર કરશે. મોદીને પ્રભાવશાળી નેતા તરીકે ઉપસાવવાનો અને રાહુલને અપરિપકવ નેતા તરીકે ચીતરવાનો ભાજપનો ઇરાદો જણાય છે.
જો કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપ સામે મહાગઠબંધન કરી રાહુલ સિવાઇ અન્ય કોઇને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરે તો ભાજપે રાહુલને નિશાન બનાવીને કરવા ધારેલા પ્રચારનું સૂરસૂરીયું થઇ જશે પરંતુ હાલ એવી શકયતા નહિવત છે.(૧.૧૪)