મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

ગત વર્ષ કરતાં આ વર્ષે ગુજરાતમાં ડુંગળીનું વાવેતર ઓછું : ઊંચા ભાવ ગ્રાહકોને રડાવશે!

સૌરાષ્ટ્રમાં પૂરતું પાણી નહીં : ખેડૂતો ડુંગળીનો પાક લેવાનું ટાળે છે : નીચી કિંમત મળી

મુંબઇ તા. ૬ : ડુંગળીનું ઓછું વાવેતર આ વર્ષે ગ્રાહકોને રડાવી શકે છે. આ વર્ષે ૩ ડિસેમ્બર સુધીમાં સરેરાશ ૧૨,૧૯૧ હેકટરમાં અથવા ગયા વર્ષની સરખામણીમાં ૫૦ ટકા વિસ્તારમાં જ ડુંગળીનું વાવતેર થયું છે. ૨૦૧૭માં ૩ ડિસેમ્બર સુધીમાં રાજયમાં ૨૪,૨૦૦ હેકટરમાં ડુંગળીનો પાક લેવામાં આવ્યો હતો. ગુજરાત રાજયમા કૃષિ વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે, રવિ પાક લેવાય છે તે ઋતુમાં (શિયાળામાં) રાજયમાં સરેરાશ ૪૬,૪૦૦ હેકટર વિસ્તારમાં ડુંગળીનું વાવેતર થાય છે. આ વર્ષે સરેરાશ ૨૬્રુ એકરમાં અથવા ૧૨,૧૯૧ હેકટરમાં વાવણી થઈ છે.

અધિકારીએ જણાવ્યું કે, ડુંગળીનો પાક મુખ્યત્વે ભાવનગર અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં લેવામાં આવે છે. આ વર્ષે ૧૨,૧૯૧ હેકટરમાં વાવણી કરવામાં આવી છે તેમાંથી સૌરાષ્ટ્રમાં ૧૦,૯૦૦ હેકટરમાં વાવેતર થયું છે. મહુવા માર્કેટ યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે કહ્યું, આ વર્ષે સૌરાષ્ટ્રમાં પૂરતું પાણી નથી એટલે ખેડૂતો ડુંગળીની વાવણી કરવાનું ટાળી રહ્યા છે. ડિસેમ્બરનું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું છે ત્યારે એકર દીઠ ડુંગળીની વાવણીને વેગ મળે તેવું લાગતું નથી.

૨૦૧૭માં પાણીની તકલીફ હતી પરંતુ ખેડૂતોને તેમના પાકમાંથી કમાણી કરાવી આપે તેવી રકમ પણ પ્રાપ્ત થઈ હતી જેના કારણે જ તેમણે વાવણી ચાલુ રાખી. અમદાવાદ એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી યાર્ડમાં ડુંગળી ૫થી ૧૧ રૂપિયા પ્રતિ કિલો (ગુણવત્તા પ્રમાણે) વેચાય છે. ત્યારે રિટેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ૨૫ રૂપિયા પ્રતિ કિલો છે. વિસાવદરના ખેડૂત ગોરધન પટેલે કહ્યું, 'આ વર્ષે આ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ ખેડૂતે ડુંગળીની વાવણી કરી હશે. અહીંના ખેડૂતો અન્ય પાક લઈ રહ્યા છે અથવા કોઈ પાક વાવ્યો જ નથી. મારી પાસે ત્રણ વીઘા જમીન છે પરંતુ તેમાં મેં ઘાસચારો ઉઘાડયો છે, જેથી મારા પશુઓને ખવડાવી શકું અને થોડી કમાણી કરી શકું.'

રાજયમાં ડુંગળી માટેના સૌથી મોટા માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડના સૂત્રો તરફથી માહિતી મળી કે, આ વર્ષે ૧૫ ડિસેમ્બરથી ડુંગળીનો પાક આવવાનો શરૂ થશે. આ માર્કેટમાં હાલ ૭,૦૦૦થી ૮,૦૦૦ કોથળા એક દિવસમાં આવે છે જેનો સંગ્રહ કોલ્ડ સ્ટોરેજમાં કરાય છે. અન્ય એક ખેડૂત પ્રતાપ સરડાસિયાએ કહ્યું, 'મેં મારા ખેતરના અડધા વિસ્તારમાં ડુંગળી અને અડધામાં જુવાર ઉગાડી છે. ગયા વર્ષે ડુંગળીના ૨૦ કિલો કોથળાના ૫૦ રૂપિયા મળ્યા હતા એટલે આ વર્ષે કુલ ૪ વીઘા જમીનમાં ડુંગળીનો પાક ન લેવાનો નિર્ણય કર્યો.'

 

(12:12 pm IST)