VVIP હેલિકોપ્ટરઃકોંગ્રેસની યુપીએ સરકારે કંપનીને બ્લેકલિસ્ટ કરી નાણાં પણ વસૂલ્યા હતા:સુરજેવાલા
મોદી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે કંપનીને સંરક્ષણ આપ્યું અને કંપનીને ફાયદો પહોંચાડ્યો
હૈદરાબાદઃ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ખુલાસો કરતા જણાવ્યું કે, કોંગ્રેસની યુપીએ સરકારે ઓગસ્તા વેસ્ટલેન્ડ કંપની સામે તપાસ કરી હતી. સરકારે કંપનીને બ્લેકલિસ્ટેડ કરવાની સાથે જ કંપની પાસેથી નાણા પણ વસુલ્યા હતા.
સુરજેવાલાએ વર્તમાન સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું કે, મોદી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે કંપનીને સંરક્ષણ આપ્યું અને કંપનીને ફાયદો પહોંચાડ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુપીએ શાસનકાળ દરમિયાન રૂ. 3600 કરોડની કિંમતના 12 અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ (57)ને મંગળવારે મોડી રાત્રે દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલને બુધવારે સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો જ્યાં તેને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી અપાયો હતો.
વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન CBIના વકીલે દલીલ કરી હતી કે, "આ કેસમાં હજુ તપાસ ચાલુ છે. અમે આ કેસમાં તેમની કસ્ટડી માગીએ છીએ, કેમ કે દુબઈ આધારિત બે એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાયા હતા."સામે પક્ષે મિશેલ દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી
. CBIની વિશેષ અદાલતે તેની અરજીને આગામી સુનાવણી પર પડતી રાખીને 5 દિવસી CBI કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જોકે, સીબીઆઈની અદાલતે તેના વકીલને સવારે એક કલાક અને સાંજે એક કલાક મુલાકાત કરવા માટે મંજૂરી આપી છે.