મુખ્ય સમાચાર
News of Thursday, 6th December 2018

અટલજીએ કહ્યું હતું 2004માં લોકસભા ચૂંટણી ભાજપ જીત્યું હોત તો કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી ગયો હોત :ઇમરાન ખાન

તેઓ કાશ્મીર સમસ્યાનાં ઉકેલની ખુબ જ નજીક હતા: કાશ્મીર મુદ્દાને યુદ્ધથી નહી પરંતુ આંતરિક સંમતીથી ઉકેલી શકાય

ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે  નવો જ  ખુલાસો કર્યો છે. ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર મુદ્દાને યુદ્ધથી નહી પરંતુ આંતરિક સંમતીથી ઉકેલી શકાય તેમ છે. તેમણે કહ્યું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બહારી વાજપેયીએ તેમને કહ્યું હતું કે જો 2004માં લોકસભા ચૂંટણી જીતી ગયા હોત તો કાશ્મીર મુદ્દાનો ઉકેલ અત્યાર સુધી આવી ચુક્યો હોત.

   પાકિસ્તાનનાં મીડિયા સાથેની વાતચીત કરતા ઇમરાને કહ્યું કે, માત્ર અટલ બિહારી વાજપેયીની જ નહી પરંતુ પૂર્વ વિદેશમંત્રી નટવર સિંહનું પણ મંતવ્ય હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને વિદેશ મંત્રીની વાત સાંભળ્યા બાદ તો એવું જ લાગતું હતું કે તેઓ કાશ્મીર સમસ્યાનાં ઉકેલની ખુબ જ નજીક હતા. ઇમરાન ખાને કહ્યું કે, વાતચીત વગર કાશ્મીર પર કોઇ પ્રકારનું સમાધાનનાં વિકલ્પ અંગે ચર્ચા થઇ શકે નહી.

  તેમણે કહ્યું કે, કાશ્મરી મુદ્દાનો ઉકેલ માત્ર અટલ બિહારી વાજપેયી જ કાઢી શકે છે. જ્યારે ખાને કાશ્મીર સમસ્યાનાં ઉકેલ માટે ફોર્મ્યુલા અંગે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, તેની પાસે બે-ત્રણ વિકલ્પ છે જેના પર ચર્ચા થવાની છે. જો કે તેમણે આ અંગે વધારે માહિતી આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે, આ અંગે વધારે જણાવવું હાલ ખુબ જ ઉતાવળ કહેવાશે. ભારત સાથે સંભવિત કોઇ યુદ્ધની સંભાવનાને ફગાવતા તેણે કહ્યું કે, બે પરમાણુ સંપન્ને દેશ લડાઇ લડી શકે નહી કારણ કે તેનાં ગંભીર પરિણામો હોય છે. 

(12:00 am IST)