રાજસ્થાનથી કચ્છ સુધીની ભૂમિ નીચે પ્રચંડ જળ સાગર
સરસ્વતી નદીની શોધ દરમિયાન માડપુર-બરવાલા ક્ષેત્રમાં પાણીનો લઘુ સાગર મળી આવતા ભારે આશા સર્જાયઃ ઓઇલ સાથે જળ સંશોધન પણ થશેઃ રાજસ્થાનમાં ૫૦૦ કુવા ખોદાયાઃ ૧૦૦૦ કુવા ખોદવાનું લક્ષ્ય પુરૂ થતાં આ જીલ્લો ''મુંબઇ હાઇ''ને પણ પાછળ રાખી દેશે
બારમેરઃ મિશન રાજસ્થાન - ૨૦ હેઠળ થયેલ શોધખોળમાં રાજસ્થાનના માડપુરા-બરવાલામાં પાણીનો વિશાળ ભંડાર મળી આવતા કેન્દ્રીય જળશકિત વિભાગ ભારે ઉત્સાહીત બનેલ છે. અહિં મોટાપાયે ખોદકામ દ્વારા ઓઇલ-ગેસ સાથે પાણીનો મહાસાગર શોધવામાં આવશે.
આ રણ પ્રદેશમાં સપાટી ઉપર ભલે પાણી ન હોય પરંતુ જમીન નીચે પાણીનો સાગર છુપાયેલો પડેલ છે. જે રાજસ્થાનના બીકાનેર-બાડમેર અને જેસલમેરથી લઇને ગુજરાતના કચ્છ પ્રાંત સુધી વિસ્તરેલો છે. તેલની શોધખોળ સાથે હવે આ જળખજાનાનો પણ પતો લગાડવામાં આવશે.
સરસ્વતી નદીના અવશેષોની શોધ સાથે હવે ૨૦૦૪માં રાજસ્થાનના બાડમેર જીલ્લાના માડપુરા બરવાલામાં પાણીનો સાગર મળી આવ્યાના હેવાલ બાદ કેન્દ્રીય જળશકિત વિભાગ મોટી જળરાશી મેળવવા સાબદો બનેલ છે. બાડમેરમાં મંગલા કુવાની શોધખોળ દરમિયાન ૧૭૦૦ મીટરે ઓઇલ તો મળ્યુ પણ ૧૦૦૦ મીટરે જે પાણી મળ્યુ તે ખારૂ હોવાનું મળેલ. આ જળ જથ્થો એટલો વિશાળ છે કે ૩૦ વર્ષ સુધી પાણી ઉલેચવામાં આવે તો પણ માંડ થોડા ઇંચ જેટલુ જ વપરાય. આ પાણીનો ઉપયોગ શરૂ થઇ ગયો છે.
આ રણમાં પહેલા સમુદ્ર રહયાના પ્રમાણો સાથે સરસ્વતી નદીના પ્રમાણ પણ મળ્યાનું ભૂવૈજ્ઞાનિક એસ.પી. માજીર જણાવે છે. અહિં વિપુલ માત્રામાં પાણી મળી શકે છે. રાજસ્થાનથી ગુજરાત સુધી સંખ્યાબંધ પાણીના લધુ સાગરો હોવાનો પણ ઇન્કાર થઇ શકે તેમ નથી.
બાડમેર-જેસલમેરમાં તેલ સાથે પાણી સંશોધન માટે ૧૧ નવા બ્લોક આપવામાં આવ્યા છે. પાણી ખારૂ મળે કે મીઠુ મળે પણ તેને ટ્રીટમેન્ટ કરી ઉપયોગમાં લેવાશે.
અત્યાર સુધીમાં ૫૦૦ કુવા ખોદાયા છે. કુલ ૧૦૦૦ ખોદવાનું લક્ષ્ય છે. આ પછી રાજસ્થાનનો બાડમેર જીલ્લો ''મુંબઇ હાઇ''ને પાછળ છોડી દેશે.