મુંબઇના ''આરે'' વિસ્તારમાં વૃક્ષો કાપવા સામે સુપ્રિમની મનાઇ
મુંબઇઃ સરકારે આશરે ૨૭૦૦ જેટલા વૃક્ષોને કાપી નાખવાનો આદેશ આપ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે લોકોમાં ભારે રોષ વધી રહયો છે. જે લોકોમાં વૃક્ષો બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહયા છે તેની જ અટકાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ સમગ્ર ઘટનાક્રમની નોંધ હવે સુપ્રિમ કોર્ટે લીધી છે. અને સુઓ મોટોના ભાગરૂપે આ મામલાની આજે સુનાવણી કરી વૃક્ષો કાપવા સામે મનાઇ ફરમાવી છે.
મુંબઇની આરે કોલોનીમાં મેટ્રો રેલ પ્રોજેકટ માટે સરકારે ૨૦૦ વૃક્ષો કાપી નાખ્યા છે જયારે બીજા ૨૫૦૦ જેટલા વૃક્ષો હજુ પણ કાપવાના છે. આ કામગીરી ચાલી રહી છે. જેનો આ કોલોનીના રહેવાસીઓ ભારે વિરોધ કરી રહયા છે અને રસ્તા પર ઉતરી વિરોધ કરી રહયા છે. જો કે પોલીસ વૃક્ષો બચાવવા માટે અવાજ ઉઠાવનારાઓની જ અટકાયત કરી કેસ દાખલ કરી દીધો છે.
બીજી તરફ સુપ્રિમકોર્ટની એક ીવશેષ બેંચ હવે આ મામલાની સુઓ મોટોના ભાગરૂપે સુનાવણી કરી આજે મનાઇ હુકમ આપી દીધેલ છે.
સુપ્રિમ કોર્ટે પોતાના હુકમમાં કહ્યું છે કે આરે કોલોનીમાં અત્યાર સુધીમાં જેટલા વૃક્ષ કાપ્યા છે તે ઠીક છે પરંતુ મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો છે કે હવે પછી એક પણ વૃક્ષ કાપવા નહિ. મહારાષ્ટ્ર સરકારે તેનો સ્વીકાર કર્યો છે. મુંબઇ હાઇકોર્ટે આરે કોલોની વિસ્તારમાં ૨૬૪૬ વૃક્ષ કાપવા છુટ આપી હતી.
સુપ્રિમકોર્ટ આ બાબતે જાતે ચેક કરશે તેમ જણાવ્યું છે અને હવે પછી પોતાની વાત કહેશે. સરકાર પાસે સોગંદનામુ માગ્યું છે અને હાલની સ્થિતિ વિશે જાણકારી પણ માંગી છેે.