મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ભુસાવળમાં ભાજપના કોર્પોરેટર સહિત પ લોકોની કરપીણ હત્યા

હત્યારાઓને પકડવા પોલીસની દોડધામ

મહારાટ્ર, તા.૭: મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ શહેરમાં રવિવારે ભાજપના નેતા અને કોર્પોરેટર રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. હુમલો રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તેમના ઘર બહાર કરવામાં આવ્યો હતો. જલગાંવ એસપી પંજાબરાવ ઉગાલેએ જણાવ્યું કે, ખરાત, તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર રોહિત, પ્રેમ સાગર અને તેમના મિત્ર સુમિત ફેડરે પર ઘરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેના ઘટના સ્થળે જ મોત નીપજયાં હતા. જયારે ત્રણનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

પોલીસે જણાવ્યા પ્રમાણે હત્યા કરવા માટે હુમલાખોરે બંદૂક અને ચાકુનો ઉપયોગ કર્યો હતો. હત્યા કર્યા બાદ હુમલાખોર ફરાર થઇ ગયા હતા. એસપીએ જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલો કૌટુંબિક વિવાદનો લાગી રહ્યો છે. ત્રણ લોકોને અટકાયતમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાના સમયે મારામારી પણ થઇ હતી તેમાં બે આરોપી ઘાયલ થયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. હાલ ભૂસાવલ શહેરના સમતા નગરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત કરી દેવાયો છે. ભુસાવલ શહેરની સાથે આખા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ સૂત્રોના મતે પરસ્પર ઝઘડામાં આ હત્યા થઇ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે.

(11:27 am IST)