મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

ભાજપના નેતાઓએ જણાવવું જોઈએ કે ગોડસે દેશભકત હતો કે નહીઃ દિગ્વિજય

દિગ્વિજય સિંહે કહ્યું: હું ગાંધીવાદી છું: એટલા માટે કુશાભાઉ અને વિજયરાજે સિંધિયાના કહેવાથી જનસંઘમાં જોડાયો નહિ

ગ્વાલિયર, તા.૭: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે શનિવારે ભાજપના સંગઠન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે ભાજપના લોકોએ એ સ્પષ્ટતા કરવી જોઈએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથુરામ ગોડ્સે દેશભકત હતા કે નહીં?

દિગ્વિજયે જણાવ્યું કે, 'ભાજપના નેતા ગાંધીજીની જે વિચારધારાની વાત કરે છે, તે સત્યતાથી જોજનો દૂર છે. ભાજપના નેતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી પર સંકલ્પ યાત્રા વિશે વાત કરે છે. આ લોકોએ દેશને ગોડ્સેની રાષ્ટ્રભકિત વિશે પણ જણાવવું જોઈએ.'

દિગ્વિજયે ખુલાસો કર્યો કે, 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વિચારક કુશાભાઉ ઠાકરે અને રાજમાતા વિજયરાજે સિંધિયાએ મને ૧૯૭૦-૭૧માં જન સંઘમાં સામેલ થવા માટે જણાવ્યું હતું. પરંતુ મે તેમની આ દરખાસ્ત ફગાવી દીધી હતી, કારણ કે હું મહાત્મા ગાંધીને માનું છું.'

રાજયસભાના સાંસદ દિગ્જવિજયે જણાવ્યું કે, 'ભાજપ પોતાને રાષ્ટ્રવાદી પાર્ટી ગણાવે છે અને કહે છે કે તે પાકિસ્તાન વિરુદ્ઘ લડી રહ્યા છે. આ કેવા પ્રકારનો રાષ્ટ્રવાદ છે કે તેમના લોકો જ પૈસા લઈને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ વિરુદ્ઘ જાસૂસી કરે છે,લૃ કોંગ્રેસના નેતાએ દાવો કર્યો કે, ભાજપના તેમજ બજરંગ દળના કેટલાક લોકો આઈએસઆઈની જાસૂસી કરતા પકડાયા હતા. જે હવે જામીન પર બહાર છે, પરંતુ તેમના પર કેસ હજુ ચાલી રહ્યો છે.'

દિગ્વજિય સિંહે ૨જી ઓકટોબરે ઈન્દોરમાં જણાવ્યું હતું કે, જે વિચારધારાએ મહાત્મા ગાંધીની હત્યા કરી તેમનો પોતાના કાર્યકરોને સંદેશ છે કે એક મહિના સુધી દરેક પંચાયતમાં પદયાત્રા કરો. ત્યાં તમે પ્રજા સામે કયા વિચારો રજૂ કરશો, ગાંધીના વિચારો કે ગોડ્સે અથવા ગોળવેલકરના વિચારો રજૂ કરશો.

દિગ્વિજયે અગાઉ કહ્યું હતું કે, હિન્દુ કટ્ટરવાદ દેશ માટે ઘાતક છે. અમે યુએનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું ભાષણ સાંભળ્યું, તે કટ્ટરપંથી ઈસ્લામની વાત કરતા હતા. ત્યાં બહુમતિ ધરાવતી (મુસ્લિમ) વસતીનું સાંપ્રદાયિકરણ થયું. તેના જવાબમાં ભારતમાં હિન્દુઓનું કટ્ટરપંથીકરણ કરવું પણ તેટલું જ ખતરનાક છે.

(9:57 am IST)