તેલંગાણા : ૧૦૫ ઉમેદવારની યાદી ચંદ્રશેખર રાવે જાહેર કરી
કોંગ્રેસ પાર્ટીને ચંદ્રશેખર રાવે મોટો ફટકો આપ્યો : ચૂંટણી માટે જાહેરનામુ જારી થાય તે પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને કેસીઆરે તમામને ચોંકાવી દીધા
નવી દિલ્હી, તા. ૭ : તેલંગાણામાં વિધાનસભા ભંગ થતાની સાથે જ કારોબારી મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ૧૦૫ ઉમેદવારોની યાદી આજે જાહેર કરી હતી. ચૂંટણીમાં પાર્ટીને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી લીધી છે. આગામીચૂંટણીમાં પાર્ટીની ટિકિટ પર આ ૧૦૫ ઉમેદવાર લડનાર છે. કેસીઆરે ચૂંટણી માટેનું જાહેરનામુ જારી કરવામાં આવે તે પહેલા જ ઉમેદવારોની યાદી જાહેર કરીને તમામને ચોંકાવી દીધા છે. વિપક્ષ અને નિરીક્ષકોને હેરાન કરી દીધા છે. એવું લાગી રહ્યું છે કે, કેસીઆર ચૂંટણી જીતવા માટે પોતાના હરીફ લોકોને એક પણ તક આપવા માટે ઇચ્છુક નથી. કેસીઆર હાલના સમયમાં પોલિટિકલ ટ્રેન્ડથી અલગ ચાલી રહ્યા છે. તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, સમય પહેલા ચૂંટણી થવાની સ્થિતિમાં તેમની પાર્ટી ફરી એકવાર સત્તામાં આવશે. ભૂતકાળની વાત કરવામાં આવે તો ચૂંટણી રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની યાદી જાહેર કરવાને લઇને હંમેશા દુવિધાભરી સ્થિતિમાં રહે છે. કેટલીક વખત છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે પરંતુ કેસીઆરમાં આ મામલામાં ખુબ જ આક્રમક વલણ જોવા મળી રહ્યું છે. એવા સંદેશા મળી રહ્યા છે કે, આગામી ચૂંટણીમાં તેમની વાપસી થશે. કેસીઆરનું કહેવું છે કે, બીજી સપ્ટેમ્બર બાદ જાહેર બેઠકમાં ઉમેદવારોના નામોની જાહેરાત કરાશે. ૧૧૯માંથી ૧૦૫ સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ઉમેદવારોની યાદી ઉપર નજર કરવામાં આવે તો કેસીઆરે તમામ વર્તમાન ધારાસભ્યોને બીજી વખત ટિકિટ આપી દીધી છે. માત્ર બે ટીઆરએસ ધારાસભ્ય ઓડેલુ અને બાબુ મોહનને દૂર કરવામાં આવ્યા છે. આ સંદર્ભમાં કેસીઆરનું કહેવું છે કે, આ બંનેએ તેમની સેવાઓનો બીજા કાર્ય માટે ઉપયોગ કરવા માટે અપીલ કરી છે. ટીઆરએસ વડા હાલમાં પાંચ સીટો ઉપર ઉમેદવારોની જાહેરાત કરનાર છે. કેસીઆર પોતે ગજવેલ સીટ ઉપરથી ચૂંટણી લડનાર છે. તેમના પુત્ર અને કેબિનેટમંત્રી એટી રામારાવ સિરકિલા અને ભત્રીજા ટી હરીશરાવ સિદ્ધિપતમાંથી ચૂંટણી લડશે. તેલંગાણામાં લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી મૂળભૂતરીતે યોજાય છે. કોંગ્રેસ સાથે ટીઆરએસ હાથ મિલાવશે તેમ માનવામાં આવી રહ્યું હતું. તેલંગાણામાં ટીઆરએસ વડા ચંદ્રશેખર રાવે ભલે વિધાનસભા ભંગ કરીને તમામને ચોંકાવી દીધા છે પરંતુ હાલમાં જુદી જુદી ગણતરીઓ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું છે કે, કોઇની ભવિષ્યવાણી ઉપર તેલંગાણામાં ચૂંટણી યોજાશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઈવોલ્ટેજ પ્રચારની કોઇ અસર ન થયા તે માટે ટીઆરએસના વડાએ રાજકીય ચાલ રમી હતી પરંતુ આજે મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું હતું કે, ચાર રાજ્યોની સાથે તેલંગાણાની ચૂંટણી કરાવવામાં આવશે તે બાબત હજુ નક્કી નથી. ચાર રાજ્યોમાં ચૂંટણી હવે ટૂંક સમયમાં જ યોજાનાર છે. પ્રાથમિકતાના આધાર પર હવે ચૂંટણી યોજાવવામાં આવનાર છે.