ઇઝરાયલનો ફરી એક વખત ગાઝા પટ્ટી ઉપર હવાઇ હુમલોઃ ર૪ લોકોના મોતઃ જેહાદ આંદોલન વિરૂધ્ધ હવાઇ હુમલા
પેલેસ્ટાઇલન ઇસ્લામિક જેહાદ ચળવળના નેતા ઝિયાદ નખાલાહે મીસાઇલ હુમલાની ધમકી આપી
નવી દિલ્હીઃ ઇઝરાયેલે ફરી એક વખત જેહાદ આંદોલન વિરૂધ્ધ હવાઇ હુમલો કરતા ગાઝાપટ્ટીમાં ર૪ લોકોના મોત થયા છે.
ઈઝરાયેલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કર્યો છે. ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા વધી છે. પેલેસ્ટાઈન આંદોલન ઈસ્લામિક જેહાદ વિરુદ્ધ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકો માર્યા ગયા છે અને 203 ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે, “ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે છ બાળકો અને મહિલાઓ સહિત 24 લોકોના મોત થયા છે અને 203 લોકો ઘાયલ થયા છે.” આ પહેલા શુક્રવારે પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે ઈઝરાયલના સંરક્ષણ દળોએ ગાઝા પટ્ટીમાં ઈસ્લામિક જેહાદ આંદોલન વિરુદ્ધ હવાઈ હુમલા કરીને બ્રેકિંગ ડોન ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે શરૂઆતમાં 10 લોકો માર્યા ગયા હતા અને 50 લોકો ઘાયલ થયા હતા.
એક રિપોર્ટ અનુસાર, પેલેસ્ટાઇન ઈસ્લામિક જેહાદ ચળવળના નેતા ઝિયાદ નખાલાહે ઈઝરાયેલના હવાઈ હુમલાનો જવાબ તેલ અવીવ પર મિસાઈલ હુમલાથી આપવાની ધમકી આપી છે. ઈઝરાયેલ ઈમરજન્સી લગાવ્યા બાદ મિસાઈલ હુમલાને ટાળતુ રહ્યું છે. પરંતુ આ સમયગાળા દરમિયાન તે ગાઝા પટ્ટીમાં સતત નવા હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલ પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ આંદોલન સાથે જોડાયેલા લોકોને આતંકવાદી ગણાવે છે. ઇઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટીમાં ઇસ્લામિક જેહાદ આંદોલન સાથે સંકળાયેલા લોકોની સુરંગો પર હવાઈ હુમલા કરી રહી છે. ભૂતકાળમાં પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ઘણો તણાવ રહ્યો છે.