દિલ્હી : બીજેપી MLAએ AAPના અમાનતુલ્લાહ ખાનને કહ્યા 'આતંકવાદી'
નવી દિલ્હી તા. ૭ : ભારતીય જનાતા પાર્ટીના ઓપી શર્માએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને આતંકવાદી કહ્યા છે. દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમિયાન ઓપી શર્માએ અનેક વખત વાંધાજનક શબ્દો બોલ્યા હતા.
વિશ્વાસનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય શર્મા ગૃહમાં વીજળી-પાણી અને નાળાની સમસ્યા ઉપર બોલી રહ્યા હતા. આ દરમિયાન જયારે અમાનતુલ્લા ખાને અચાનક ટોકવાનું શરૂ કર્યું હતું. ત્યારે ઓપી શર્માએ અમાનતને કહ્યું કે આતંકવાદીની જેમ વાત ન કરો. તેમણએ અનેકવાર આ વાતનું પુનરાવર્તન કર્યું અને ત્યારબાદ ગૃહની બહાર જતા રહ્યા હતા. તેમના નિવેદન બાદ ગૃહમાં હંગામો થયો હતો.
સ્પીકરે આ શબ્દોને કાઢી નાખવા માટે વિશેષાધિકાર સમિતિ પાસે મોકલ્યા છે. આમ આદમી પાર્ટીએ ટ્વિટર ઉપર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને વિધાનસભામાં આતંકવાદી કહ્યા હતા. શું ભાજપ આવા નીચા વિચારો સાથે ન્યૂ ઇન્ડિયા બનાવશે?
આ મામલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે, દુર્ભાગ્યવશ આ દેશમાં અને વિપક્ષમાં એવા લોકો બેઠા છે કે, જે વાતને ત્યાં સુધી લાવવા માંગે છે કે, મુસલમાનનો મતલબ આતંકવાદી જ થાય છે. આ ગૃહમાં આ બધું સાખી લેવામાં નહીં આવે. બીજેપીના ધારાસભ્યને આ અંગે આખા દેશની માફી માંગવી જોઇએ.(૨૧.૬)