ગોવાનાં પૂર્વ આરોગ્ય મંત્રી - ભાજપના પૂર્વ અધ્યક્ષ સુરેશ અમોનકરનું કોરોનાથી નિધન
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અમોનકરનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું
પણજી : ગોવાનાં પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપનાં ભૂતપૂર્વ પ્રદેશ અધ્યક્ષ ડો.સુરેશ અમોનકરનું કોરોના વાયરસ સંક્રમણથી નિધન થયું હતું. કોરોના ચેપ લાગતાં તેમને 21 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અમોનકરનાં મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
સીએમ સાવંતે તેમના શોક સંદેશમાં કહ્યું હતું કે, "ભાજપનાં ગોવા રાજ્યનાં પૂર્વ પ્રમુખ અને ગોવા સરકારનાં ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન ડો.સુરેશ અમોનકરનાં નિધનથી દુઃખ થયુ. ગોવા રાજ્યમાં તેમનું મહત્વનું યોગદાન છે અને તે ક્યારેય ભૂલી શકાઇ શકાય તેમ નથી. શોક સંતપ્ત પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના. '
ડો.સુરેશ કુસો આમોનકર 1999 માં ગોવા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનાં સભ્ય તરીકે અને 2002 માં ગોવા વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા. અગાઉ તે મનોહર પર્રિકર કેબિનેટમાં આરોગ્ય, સમાજ કલ્યાણ અને શ્રમ અને રોજગાર પ્રધાન હતા. 2007 ની ગોવા વિધાનસભાની ચૂંટણી તેઓ કોંગ્રેસનાં ઉમેદવારથી હારી ગયા હતા.