મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

મુંબઈ : ધોધમાર વરસાદથી જનજીવન ઠપ : ૩ મોત થયા

મુંબઈમાં લોકલ ટ્રેન સેવાને માઠી અસર થઈ : ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા : નવી મુંબઈ અને થાણેમાં ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા

મુંબઈ,તા.૭: દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈના જુદા જુદા ભાગોમાં આજે ભારે વરસાદ થયો હતો. જેના લીધે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું. થાણે, કલ્યામ, નવી મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઉપનગરીય રેલ સેવા પણ ખોરવાઈ ગઈ હતી. બીજી બાજુ વરસાદ સંબંધિત બનાવમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. જોકે આ અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યું નથી. ભારે વરસાદ વચ્ચે કલ્યાણ-ડોંબીવલી ક્ષેત્રમાં ખાડાવાલી નદીમાંથી બે વણઓળખાયેલા મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે મુંબઈના ઘાટકોપરમાં વીજ થાંભલાના કરંટથી એક મહિલાનું મોત થયું છે. વસઈમાં ૪૦ લોકો અટવાયા હોવાના પણ સમાચાર મળ્યા છે. કેટલાક લોકોને લાપતા પણ દર્શાવવામાં આવ્યા છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે મલાડ, બોરીવલી, પોવાઈ, ભાંડુ અને થાણેના જુદા જુદા ભાગો તથા કલ્યાણમાં ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે ભારેથી અતિ ભારે વરસાદનો દોર જારી રહી શકે છે. છેલ્લા ચોવીસ કલાકમાં શાંતિક્રુઝ અને કોલાવામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. મળેલી માહિતી મુજબ વિઠલવાડી અને કલ્યાણ વચ્ચે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન સેવાને રોકી દેવાઈ છે. આજે સવારે બદલાપુર અને કલ્યાણ વચ્ચે ટ્રેન સેવાને થોડાક સમય માટે રોકી દેવામાં આવી હતી. સેન્ટ્રલ રેલવેએ માહિતી આપતા કહ્યું છે કે સવારે થોડાક સમય સુધી લોકલ ટ્રેનને બંધ રાખવામાં આવ્યા બાદ ટ્રેન સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સેન્ટ્રલ રેલવે દ્વારા લાંબ અંતરની અનેક ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી છે. કેટલીક ટ્રેનો રદ પણ કરાઈ છે. અત્રે નોંધનિય છે કે ભારે વરસાદના કારણે અંધેરીમાં સ્ટેશનનો એક હિસ્સો ધરાશાયી થયાના ત્રણ દિવસ બાદ વરસાદ થયો હતો. નીચાણવાળા વિસ્તારો જળબંબાકર થઈ ગયા હતા.

(9:42 pm IST)