રાષ્ટ્રીય સ્તરે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ NEET અને JEE હવે વર્ષમાં બે વાર લેવાશેઃ કેન્દ્રિય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાડવેકરની જાહેરાત
નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્તરે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ NEET અને JEE વર્ષ બે વાર લેવાશે તેવી જાહેરાત કેન્દ્રિય માનવ સંસાધન મંત્રી પ્રકાશ જાડવેકરે કરી છે.
જાવડેકરે જણાવ્યું હતું કે, 2019થી એન્જિનિયરિંગ માટે લેવાતી JEE અને મેડિકલ માટે લેવાતી NEET નવી બનાવાયેલી એક્ઝામિનેશન કન્ડક્ટિંગ એજન્સી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવાશે.
NEET અને JEE સિવાય NTA યુજીસી નેટ, જીમેટ જેવી પરીક્ષાઓ પણ લેશે. આ પરીક્ષાઓ જુદા-જુદા સ્થળોએ જુદા-જુદા સમયે યોજવામાં આવશે. જેઈઈ મેઈન્સ એક્ઝામ જાન્યુઆરી અને એપ્રિલમાં થશે, જ્યારે NEET ફેબ્રુઆરી અને મે મહિનામાં યોજાશે. અત્યાર સુધી સીબીએસઈ આ પરીક્ષાઓનું સંચાલન કરે છે.
વર્ષમાં બે વાર યોજાનારી પરીક્ષામાં સ્ટૂડન્ટ્સ જો ઈચ્છે તો બંનેવાર બેસી શકશે, અને તેમાંથી જે પરીક્ષામાં વધુ સ્કોર થયો હશે તે માન્ય ગણાશે. પરીક્ષાના સિલેબસ તેમજ અન્ય પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા સ્ટૂડન્ટ્સને વધાર દૂર ન જવું પડે તે માટે હવે આ પરીક્ષાઓ સબ-ડિસ્ટ્રિક્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ લેવામાં આવશે.