મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

દેશને કહ્યું પરત ફરી રહ્યો છું એકલો ન છોડતા : શરીફનો સજા બાદ અંતિમ દાવ

ભાવનાત્મક અપીલ કરતા કહ્યું કે તેમને સજા એટલા માટે મળી કારણ કે તેણે પાકિસ્તાનના લોકોના કેટલાક જનરલો અને ન્યાયાધીશોની દાસ્તાનથી મુકત કરાવવાનો પ્રયાસ કર્યો

ઇસ્લામાબાદ તા. ૭ : સત્તામાંથી લગભગ બેદખલ થઇ ચુકેલા પુર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કરપ્શન કેસમાં સજાની જાહેરાત થયા બાદ પોતાનો અંતિમ દાવ ચલાવી દીધો છે.નવાઝ શરીફે જાહેરાત કરી છે કે તે જેલમાં ગયા બાદ પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. પાકિસ્તાની લોકો માટે પોતાનો સંઘર્ષ ચાલુ રાખવાની વાત કહેતા નવાઝ શરીફે દેશને અપીલ કરી છે કે પરિક્ષાની આ ઘડીમાં તેમને એકલા ન છોડે. નવાઝ શરીફે ભાવનાત્મક અપીલ કરતા કહ્યું કે, તેમને સજા એટલા માટે મળી કારણ કે તેણે પાકિસ્તાનનાં લોકોના કેટલાક જનરલો અને ન્યાયાધીશોની દાસ્તાનથી મુકત કરાવવાનો પ્રયાસ કર્યો.

સ્પષ્ટ છે કે,નવાઝ હવે પોતાની અંતિમ આશા, એટલે કે સહાનુભુતીનું કાર્ડ રમી રહ્યા છે. જો કે તેમણે તે નહોતું જણાવ્યું કે તે પાકિસ્તાન કયારે પરત ફરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પાકિસ્તાનની જવાબદારી કોર્ટે નવાઝ શરીફની ગેરહાજરીમાં તેને પનામા પેપર્સ કાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના ત્રણ કેસમાંથી એકમાં આજે ૧૦ વર્ષ કેદની સજા ફટકારી અને ૮૦ લાખ પાઉન્ડનો દંડ ફટકાર્યો. શરીફની ૪૪ વર્ષીય પુત્રી અને સહ-આરોપી મરિયમને પણ સાત વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે અને તેના પર ૨૦ લાખ પાઉન્ડનો દંડ લગાવવામાં આવ્યો છે.

પાકિસ્તાનમાં ૨૫ જુલાઇના રોજ ચૂંટણી છે અને હવે નવાઝ સેકન્ડ લાઇન ઓફ એકશન પર કામ કરી રહ્યા છે. જેના હેઠળ ચૂંટણી પહેલા સજાની જાહેરાત બાદ પીએમએલ-એનને મળેલા ઝટકાને જ સહાનુભૂતિમાં બદલવા માટે જોડાઇ ચુકયા છે. આ કોર્સ ઓફ એકશનમાં નવાઝની પુત્રી મરિયમ પણ તેની સાથે જોડાઇ ચુકી છે. બંન્નેએ શુક્રવારે લંડનમાં પ્રેસ કોન્ફરન્સ કરીને દેશને પોતાની ભાવી રણનીતિ અંગે એક પ્રકારે માહિતી આપવાનું કામ કર્યું છે.

લંડનમાં બેઠેલા નવાઝે કહ્યું કે, હું વચન આપી રહ્યો છું કે તેમનો સંઘર્ષ ત્યા સુધી ચાલુ રહેશે જયા સુધી દેશનાં લોકોને તેના પર થોપવામાં આવેલ દાસતાથી મુકત નથી કરાવી લેતા. એવું કહેતા નવાઝે એક તરફથી સેના અને કોર્ટ, બંન્ને પર નિશાન સાધ્યું હતું. જો કે પાકિસ્તાનની સત્તા પર જળવાઇ રહેવા દરમિયાન નવાઝે શકિતશાળી મિલિટરી અને કોર્ટ બંન્ને સાથે સારા સંબંધોનું સુખ પણ ઉઠાવ્યું હતું.

 ડોનનાં રિપોર્ટ અનુસાર નવાઝ શરીફે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હું દેશને આહ્વાહન કરી રહ્યો છું કે હું આ પરીક્ષાની ઘડીમાં મારી સાથે આવે અને મને એકલો ન છોડે. શરીફે કહ્યું કે, તેઓ ન્યાય અને પોતાનાં દેશનાં લોકો માટેની લડાઇમાં જેલ જવા તૈયાર છે. જો કે તેમણે પોતાના પરત ફરવાનો નિશ્ચિત સમય નહોતો જણાવ્યો. શરીફે કહ્યું કે, તેમની પત્ની કુલસુમની ખરાબ તબિયતનાં કારણે તેઓ તત્કાલ પરત નથી ફરી શકતા.

(10:32 am IST)