સંસદનું સત્ર શાંતિપૂર્ણ ચલાવવા મોદી સરકારના ત્રણ મંત્રોઓએ સોનિયા ગાંધીની મુલાકાત લીધી
વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયત
નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીની મુલાકાત લીધી હતી તેમણે સોનિયા ગાંધી પાસે 17 જૂનથી શરૂ થતા સંસદીય સત્રને સારી રીતે ચલાવવા માટે સહયોગ આપવાની માંગણી કરી છે.
પ્રહલાદ જોશીની સાથે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને અર્જુન રામ મેઘવાલ પણ સોનિયા ગાંધીને મળવા માટે પહોંચ્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું સત્ર હશે.
સોનિયા ગાંધી સાથે તેમના આવાસમાં મુલાકાત કર્યા બાદ તેમણે સંવાદદાતાઓને કહ્યું કે સોનિયા ગાંધી સાથે અમારી મિટિંગ સૌહાર્દપૂર્ણ રહી. સંસદીય સત્રને સારી રીતે ચલાવી શકીએ તે માટે અમે તેમના સહયોગની માંગણી કરી છે. તેમણે કહ્યું કે વિપક્ષને પણ સત્તા પક્ષના સહયોગની જરૂરત છે. મેં તેમને જણાવ્યું કે સરકાર સહયોગ કરવા માટે હંમેશા તૈયાર છે.
સૂત્રોએ જણાવ્યું કે જોશીની સોનિયા ગાંધી સાથે મુલાકાત વિપક્ષ સાથે તાલમેલ બેસાડવાની સરકારની કવાયતનો ભાગ છે. આ બેઠક 15 મિનિટ ચાલી.