મેદાન પર નમાઝ પણ અદા કરાય છે : સુરેશ રૈનાનો મત
મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સને લઈને વિવાદ વચ્ચે રૈનાનો દાવો : નમાઝ અને સેલ્યુટની જેમ જ ધોનીનું સમ્માન થવું જોઈએ
નવી દિલ્હી, તા. ૭ : ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્સ ઉપર બલિદાન લોગોને લઈને જોરદાર હોબાળો અને વિવાદ થઈ રહ્યો છે. આ મામલામાં આઈસીસી અને બીસીસીઆઈ આમને સામને આવી ગયા છે. આઈસીસી દ્વારા બીસીસીઆઈને ધોનીના ગ્લવ્સ પરથી લોગોને દુર કરવા કહ્યું છે. આ સંદર્ભમાં બીસીસીઆઈનું કહેવુ છે કે, પહેલાથી જ સુચના આપવામાં આવી હતી. વિવાદ વચ્ચે ક્રિકેટર સુરેશ રૈનાએ ધોનીનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, ધોની ભારતીય સેનાને પ્રેમ કરે છે. તે માત્ર દેખાવા માટે આવુ કામ કરી રહ્યા નથી. રૈનાએ કહ્યું છે કે, આને લઈને કોઈ વિવાદ હોવો જોઈએ નહી. આઈસીસીએ પણ ધોનીનું સમર્થન કરવુ જોઈએ. રૈનાએ કહ્યું છે કે, મેદાનમાં નમાઝ અદા કરવામાં આવે છે. ત્યા આર્મી સેલ્યુટની જેમ ઉજવણી પણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં નમાઝ અને સેલ્યુટની જેમ જ ધોનીનું સમ્માન કરવુ જોઈએ. રૈનાએ ટ્વીટ કરીને કહ્યું છે કે, જ્યારે ખેલાડી મેદાન પર ઉતરે છે ત્યારે દેશ માટે તમામ સમર્પિત કરે છે.