મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

કોંગ્રેસે શરૂ કર્યુ મંથનઃ કાયાકલ્‍પની તૈયારીઃ ઘડયા પાંચ પ્‍લાન

રાહુલ-પ્રિયંકા થયા ફરી સક્રિયઃ પરાજયના કારણો અંગે પ્રભારીઓ પાસે માંગ્‍યો રિપોર્ટઃ સંગઠનમાં થશે ફેરફાર : અગાઉની ભૂલો ન થાય તેની તકેદારી રાખશે પક્ષઃ સોફટ હિન્‍દુત્‍વના માર્ગે પણ જવા તૈયારી

નવી દિલ્‍હી તા. ૭ : લોકસભા ચુંટણી ખરાબ રીતે હારી જવાથી સુનમુન દેખાઇ રહેલું કોંગ્રેસનુ ઉચ્‍ચ નેતૃત્‍વ હવે ફરીથી સક્રિય થઇ ગયું છે. પોતાના રાજીનામા પર અડગ દેખાતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હવે હારના કારણોનો રિપોર્ટ પ્રભારીઓ પાસેથી માંગ્‍યો છે તેમણે બુથ સ્‍તરના કાર્યકરો સાથે વાત કરીને રિપોર્ટ તૈયાર કરવાનું કહ્યું છે તેના આધારે સંગઠનમાં ફેરફારની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ફરીથી સક્રિય બની ગયા છે તે ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરીને પક્ષના હારેલા ઉમેદવારો, પદાધિકારીઓ અને અન્‍ય નેતાઓ સાથે મુલાકાત કરીને સંગઠનની ખામીઓની ભાળ મેળવવાની તથા હારના કારણોે જાણવાની કોશિષ કરશો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોકસભા ચુંટણીમાં પક્ષની હાર અંગે ઉત્તર પ્રદેશના નેતાઓ સાથે ગુરૂવારે દિલ્‍હીમાં બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કેટલાક નેતાઓ સાથે અમેઠીમાં રાહુલ ગાંધીની હાર બાબતે પણ ચર્ચા કરી હતી. આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ અને પમિી ઉત્તર પ્રદેશના પ્રભારી જયોતિરાદિત્‍ય સિંધીયા અને પ્રદેશ પ્રમુખ રાજ બબ્‍બર પણ હાજર હતા. પ્રિયંકા ગાંધીના આવાસ પર લગભગ અઢી કલાક ચાલેલી આ બેઠકમાં નેતાઓને જમીનસ્‍તરનો રીપોર્ટ મેળવવાનું કહેવાયું હતું. અમેઠીમાં હાર બાબતે બે પર્યવેધક નિયુકત કરવા અંગે પણ ચર્ચા થઇ હતી.

પ્રિયંકા બધા જીલ્લા પ્રમુખોની મુલાકાત કરીને હારના કારણોની સમીક્ષા કરશે. તે પણ પોતાનો રિપોર્ટ કોંગ્રેસ પ્રમુખને સોંપશે. કોંગ્રેસ સુત્રો અનુસાર, આ આદેશ પછી બધા રાજયોના પ્રભારી હારના કારણોની સમીક્ષા કરીને પોતાનો રીપોર્ટ ઉચ્‍ચ નેતૃત્‍વને સોંપશે.

જણાવવામાં આવે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને સતારૂઢ ભાજપાનો વિજય રથ રોકવા માટે સક્રિય બન્‍યાછે. તેમણે કોંગ્રેસની કાયા પલટ માટે પાંચ પ્‍લાનની મહત્‍વપૂર્ણ યોજના બનાવી છે

જેમાં પહેલી ચીજ હાર અંગે પ્રભારીઓ પાસેથી રિપોર્ટ મેળવવામાં આવશે બીજા પ્‍લાન હેઠળ કોંગ્રેસ ઉપરથી માંડીને નીચે સુધી એટલે કે બુથ સ્‍તર સુધી હારના કારણો તપાસશે જેમાં સ્‍થાનિક લોકોની પ્રતિક્રિયાથી લઇને નેતાઓની પ્રતિક્રિયાઓ લેવાશે.

ત્રીજા પ્‍લાન હેઠળ પક્ષ પોતાની કાર્યશૈલી અને સંગઠનમાં ફેરફાર પર વિચારશે જેમાં સીનીયરો સાથે વાતચીત અને આપસી સહમતીથી નેતા પર અમલ થઇ શકે ચોથા પ્‍લાનમા ભૂલ કયાં થઇ અને પાંચમાં પ્‍લાનમાં બધી કમીઓને દુર કરીને નવી સકારાત્‍મક ચીજો અપનાવીને ફેરફાર કરવાની ગણત્રી છે.

(11:10 am IST)