મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

ખાતરની સબસિડી સીધીરીતે ખેડૂતના ખાતામાં જમા કરાશે

ખેડૂતોને વધુ મોટી રાહત આપવા માટે તૈયારી : બે ચરણમાં યોજનાને અમલી કરાશે : ક્યારે અને કઈરીતે અમલી કરાશે તે અંગે ટુંક સમયમાં મોટી જાહેરાત કરાશે

નવી દિલ્હી, તા. ૬ : સરકાર ડીબીટી યોજનાના બીજા તબક્કા હેઠળ ખેડૂતોને ખાતર સબસિડી પણ હવે તેમના ખાતામાં સીધીરીતે જમા કરવાની તૈયારી કરી લીધી છે. ખાતર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આજે આ મુજબની માહિતી આપી હતી. ઓક્ટોબર ૨૦૧૭માં ખાતર ડીબીટીના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી હતી જે હેઠળ પોઇન્ટ ઓફ સેલ મશીન મારફતે નોંધાયેલા રિટેલ વેચાણના આંકડાની તપાસ કરવામાં આવ્યા બાદ કંપનીઓને સીધીરીતે સબસિડી ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. ડીબીટીના બીજા તબક્કામાં નીતિ આયોગે સલાહ સૂચન મેળવી લીધા બાદ સબસિડીની રકમ સીધીરીતે ખેડૂતોના બેંક ખાતામાં મુકવાનું કામ કરવામાં આવનાર હતું. સરકાર ખેડૂતોને સસ્તા પ્રમાણમાં કૃષિ પોષણ ચીજવસ્તુ આપવા માટે ખાધ સબસિડીના રુપમાં વાર્ષિક ૭૦૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડે છે. અધિકારીઓના કહેવા મુજબ હવે સીધીરીતે ખેડૂતોના બેંક ખાતામાં ખાતર સબસિડીની રકમ આપવાની પણ તૈયારી ચાલી રહી છે. બે તબક્કામાં અમલીકરણ માટે કામગીરી ચાલી રહી છે. આને કઇરીતે અને ક્યારે લાગૂ કરવામાં આવશે તેને લઇને ખુબ મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે. સરકાર રિટેલ વેચાણકારોને રાહત આપવા માટે પીઓએસ મશીનની સાથે સાથે ડેસ્કટોપ અને લેપટોપનો ઉપયોગ કરવાની મંજુરી આપીને ડીબીટીમાં સુધારા લાવવાની યોજના ધરાવે છે. હવે ડીબીટી પ્લેટફોર્મ પીઓએસ મશીન ઉપર આધારિત છે. હવે ડેસ્કટોપ અને લેપટોપની સાથે સરકાર આવી રહી છે. પીઓએસ મશીનમાં નાના સ્ક્રીન હોય છે. રિટેલ વેચાણકારોને ક્યારેક સમસ્યાઓ પણ પડે છે. પીઓએસ ઉપરાંત છુટક વેચાણકારોની પાસે ડેસ્કટોપ અથવા લેપટોપ હોઈ શકે છે. દેશમાં ૨.૨૫ લાખ ખાતરના રિટેલ વેચાણકારો છે. જો કે, પીઓએસ મશીનને દૂર કરવામાં આવશે નહીં.

(12:00 am IST)