મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

કિરીટ જોષીની હત્યામાં અમદાવાદના પુજારા બંધુઓઃ ૩ કરોડમાં સોપારી

જામનગરના જાણીતા એડવોકેટની હત્યાના મામલા પરથી અંતે સત્તાવાર રીતે પરદો હટાવાયોઃ મુખ્ય સૂત્રધાર વિદેશ વસતા ભુમાફીયા જયેશ પટેલ જ નિકળ્યોઃ અજયપાલ નામના આરોપીની ધરપકડઃ રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ટીમની ભેદ ઉકેલવામાં યશસ્વી ભૂમિકા : જયેશ પટેલે બબ્બે ગેંગને સોપારી આપ્યાની વાત બન્ને પ્રોફેશનલ કિલર ગેંગને જાણ થઈ ગયેલીઃ એક ગેંગ હત્યાને અંજામ આપે તે પહેલા જ બીજી ગેંગે જામનગર પહોંચી કામ પતાવી નાંખ્યુ

રાજકોટ, તા. ૭ :. જામનગરના જાણીતા એડવોકેટ જોષીની ચકચારી હત્યાના મામલામાં અનેકવિધ ચર્ચાઓ, અટકળો અને સસ્પેન્સ પરથી પોલીસે સત્તાવાર પરદો ઉંચકયો છે અને સત્તાવાર રીતે સમગ્ર કાવતરૂ હાલ વિદેશમાં રહેતા કુખ્યાત ભૂ-માફીયા જયેશ પટેલે ઘડી અને તેને અંજામ આપવા મુંબઈ અને મહેસાણાની ગેંગ સાથે અમદાવાદના બે લોહાણા બંધુઓ હાર્દિક પુજારા અને દિલીપ પુજારા અને અન્ય એક સાગ્રીતને સોંપ્યાનું સત્તાવાર રીતે જાહેરાત કરી અજયપાલ નામના એક શખ્સની ધરપકડ કર્યાનું જાહેર કર્યુ છે.

૨૮ એપ્રિલના દિવસે જામનગરના એડવોકેટ કિરીટ જોષીની ક્રૂર હત્યા તેની ઓફિસ નજીક થઈ. તેનો ભેદ ઉકેલવામાં જામનગર પોલીસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને આરોપીના સગડ રાજકોટ સુધી નિકળતા રાજકોટ પોલીસની પણ મદદ લેવાયાનું અમદાવાદ-ગાંધીનગરના ટોચના સૂત્રોએ 'અકિલા'ને જણાવ્યુ છે.

'અકિલા' સાથેની વિશેષ વાતચીતમાં અમદાવાદ-ગાંધીનગરના ટોચના પોલીસ સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે, સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં આમ તો જામનગર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને રાજકોટ પોલીસે એક ટીમ તરીકે કામ કર્યુ હતુ, પરંતુ આ ભેદ ઉકેલવામાં સિંહફાળો રાજકોટના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમનો રહ્યાનું ગૌરવપૂર્વક નિખાલસતાથી જણાવ્યુ હતું.

હત્યાના મુખ્ય કારણમાં વિદેશ રહેતા જયેશ પટેલની ૧૦૦ કરોડની જમીનના મામલામાં જામનગરના એડવોકેટ કિરીટભાઇ જોષી વિગેરે કોર્ટમાં ઝનુન પૂર્વક જંગ લડતા જયશ પટેલને આર્થિક રીતે બહુ મોટુ નુકશાન જતાં તેઓ આગબબૂલા થઇ આ કૃત્ય કર્યાનું પોલીસ સુત્રો માની રહયા છે.

૨૦ સેકન્ડમાં જ બાઇકમાં આવેલા બે શખ્સોએ છરીના ૨૩-૨૩ ઘા ઝીંકી ફરાર થઇ ગયેલા હતા. તેવી બે બાઇકો પણ રાજકોટ માંથી જ ખરીદવામં આવેલી. તે માટે તેમને ચોક્કસ શખ્સોએ મદદ કરી પોતાના મોબાઇલ નંબર પણ આપેલા. આ બાઇકો રાજકોટમાંથી ખરીદવાનું મહત્વનું કારણ એ હતું કે, કિરીટ જોષીના હત્યારા પૈકીની એક ગંગના સભ્યની કાર ખરાબ થઇ જતા તેઓએ રાજકોટ રોકાઇને બાઇકની વ્યવસ્થા કરી હતી. આમ તો હત્યાની સોપારી બબ્બે ગંગોને આપવામાં આવી હતી. જે માટે ત્રણ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.

દરમિયાન મુખ્ય સુત્રધાર મનાતા શખ્સે બે પૈકી એક પ્રોફેશનલ કિલર ગેંગને રદ કરી બીજી ગેંગ સાથે વાટાઘાટો ચલાવી રહયાની જાણ અમદાવાદ સ્થિત ગેંગને થઈ જતા પ્રથમ પ્રોફેશનલ કિલર ગેંગ હત્યાને અંજામ આપે તે પહેલા જ બીજી ગેંગે જામનગર પહોંચી જઈ હત્યાને અંજામ આપી દીધો હતો.

દરમિયાન જામનગર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ ટીમો જામનગરના સીસીટીવીના પિકચરો ઝાંખા આવતા જામનગર-રાજકોટ હાઈવે તથા દ્વારકા-જામનગર સુધીના હાઈવે ઉપર સતર્કતાએ પોલીસની ટીમોએ ખાનગીમાં સીસીટીવી ફુટેજ રાજકોટથી મેળવ્યા હતા. રાજકોટ પોલીસની કુનેહને સીસીટીવી ફુટેજમાં ચોક્કસ શકમંદ શખ્સો તથા એક કાર કેપ થઈ ગઈ હતી અને રાજકોટ પોલીસે બધા પુરાવા એકઠા કરી કાર માલિક, બાઈકોના ઓટો ડિલર વિગેરેની તમામ વિગતો મેળવી અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને જામનગર પોલીસને સુપ્રત કરી આપી હતી. આમ અંતે કિરીટ જોષીના હત્યાના મામલા પરથી સત્તાવાર રીતે પરદો જામનગર, અમદાવાદ પોલીસે હટાવી દીધો છે.

(8:27 pm IST)