મજુરો ભરેલી બસમાં કરંટ લાગતા ૨૦થી વધારે મજુરો દાઝયા
જયપુર તા.૭: રાજસ્થાનના ભરતપુર જીલ્લાના ભુસાવરમાં મધરાતે મજુરો ભરેલી બસ હાઇ પાવર લાઇનના વાયરને અડી જતા કરંટથી વીસ થી વધુ મજુરો દાઝી ગયા હતા.
બસમાં કરંટ લાગવાથી ત્યાં હાહાકાર મચી ગયો હતો અને ભાગાભાગી થઇ ગઇ હતી. ઘાયલ થયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. બસમાં દાઝેલા મજુરોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેમાંથી પાંચની હાલત ગંભીર છે. અકસ્માત પછી ઘટના સ્થળે પહોંચેલા ગામવાસીઓ અને પોલીસે બચાવ કામગીરી કરીને બસમાં ફસાયેલા મજુરોને બહાર કાઢયા હતા.
ભુસાવર, બૈર અને હેલેનાથી મંગાવેલ એમ્બ્યુલન્સોમાં મજુરોને હોસ્પિટલ પહોંચાડવમાં આવ્યા હતા.
અકસ્માતની ખબર મળતા ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચીને વિજળી બંધ કરાવી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડયા હતા. પોલીસે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના પીલીભીત ગામના ૫૦ થી વધુ મજુરો દોૈસાના મહુઆ તાલુકામાં ઇંટોના ભઠ્ઠા પર કામ કરે છે અને તેઓ પોતાના વતન જઇ રહયા હતા. ત્યારે રસ્તાના કિનારે બેય બાજુ ઝુલતા વીજવાયરોના સંપર્કમાં બસ આવી જતા આખી બસમાં કરંટ લાગ્યો હતો. પોલીસે આ મામલામાં તપાસ ચાલુ કરી છે.