ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ અને ઉદ્ધવ ઠાકરેની એક કલાક બંધ બારણે બેઠક:મુખ્યમંત્રી ફડણવીસ રહ્યાં બહાર
અમિતભાઈનું સંપર્ક ફોર સમર્થન અભિયાન:સબંધો સુધારવા અને સહયોગીને સાથે રાખવાનો વ્યૂહ
મુંબઈઃ ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે એક કલાક સુધી બંધબારણે બેઠક યોજાઈ હતી આ વેળાએ મુખ્યમંત્રી ફડણવીસ બહાર બેઠા હતા અમિતભાઇ શાહ ઉદ્ધવ ઠાકરેના મુંબઈ સ્થિત ઘર માતોશ્રી પહોંચ્યા હતા.આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ પોતાની પાર્ટીના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતગર્ત તેઓ દેશની મોટી હસ્તિઓને મળી રહ્યાં છે.તેમની આ મુલાકાતનો ઈરાદો શિવસેના સાથેના સંબંધ સુધારવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેના છેલ્લા ઘણા સમયથી નારાજ છે તેવામાં ભાજપ લોકસભા ચૂંટણી પહેલા ઘીના ઠામમાં ઘી પાડવા માંગે છે, કારણ કે સંયુક્ત વિપક્ષને પહોંચી વળવા માટે ભાજપની સાથે પોતાના સહયોગી દળોને સાથે રાખવાની રણનીતિ અપનાવવી જરૂરી છે.
અમિતભાઇ શાહ અને ઉદ્ધવની મુલાકાત પહેલા શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના માધ્યમથી ભાજપ પર હુમલો કર્યો. સામનાના સંપાદકીયમાં લખવામાં આવ્યું કે, અમિત શાહ આ ચૂંટણીમાં કોઇપણ પ્રકારે 350 સીટો જીતવા ઈચ્છે છે. 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંપર્ક અભિયાન શરૂ કર્યું છે.
શિવસેનાએ કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધેલા છે. કિસાન રસ્તા પર છે. તેમ છતા ભાજપ ચૂંટણી જીતવા ઈચ્છે છે. શિવસેનાએ કહ્યું કે, જે રીતે ભાજપ શામ,દામ,દંડ અને ભેદના માધ્યમથી પાલઘરમાં ચૂંટણી જીતી, તેજ રીતે ભાજપ કિસાનોની હડતાલ ખતમ કરવા ઈચ્છે છે. ચૂંટણી જીતવાની શાહની જીદને અમે સલામ કરીએ છીએ.
સામનામાં લખવામાં આવ્યું કે, એક તરફ મોદી વિશ્વમાં ફરી રહ્યાં છે, બીજીતરફ શાહ દેશમાં ફરી રહ્યાં છે. ભાજપને પેટાચૂંટણીમાં હાર મળી છે, તેથી શું તેણે પોતાની સહયોગી પાર્ટીઓને મળવાનું શરૂ કર્યું છે. ભલે હવે તે સંપર્ક બનાવવાનો પ્રયત્ન કરે પરંતુ હવે ઘણુ મોડું થઈ ગયું છે. તેને કહ્યું કે, ચંદ્રાબાબૂ નાયડૂએ એનડીએ છોડ્યું, નીતીશ કુમાર પણ અલગ નિવેદન આપી રહ્યાં છે.
twitter video link :