ભારતના કુસ્તીબાજ સુશીલ કુમાર સામે હત્યાના કેસમાં FIR નોંધાઈ
જૂથ અથડામણમાં થયેલ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત : પોલીસ ફરિયાદમાં સુશીલકુમારનું નામ પણ સામેલ
નવી દિલ્હી : બે વખત ઓલિમ્પિકના મેડલ જીતી ચૂકેલા કુસ્તીબાજ સુશીલ કુમાર સામે હત્યાના કેસમાં એફઆઈઆર દાખલ થતાં રમત વર્તુળમાં હલચલ મચી ગઇ છે.બે દિવસ અગાઉ નવી દિલ્હીના છત્રપાલ સ્ટેડિયમ સંકુલમાં આવેલ પાર્કિંગ એરિયા નજીક બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી જેમાં સુશીલ કુમાર ઉપરાંત અજય, પ્રિન્સ દલાલ, સોનુ, સાગર અને અમિત કુમાર તેમજ અન્ય સામેલ હતા. આ ઝપાઝપી દરમ્યાન બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. સાગર નામની વ્યક્તિનું તે દરમ્યાન મૃત્યુ થયું હતું. સાગરના જૂથે પોલીસ ફરિયાદ કરી તેમાં સુશીલ કુમારનું પણ એફઆઈઆરમાં નામ પોલીસે લેવું પડયું તેવી તેની ભૂમિકા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ફોરેન્સિક ડીટેઇલ્સ પણ પ્રાપ્ત કરી છે.
પાર્કિંગમાં પાંચ ફોર વ્હીલર્સ પડયા હતા જેમાં એક ગન કે જેમાંથી બે ગોળી ફાયર થઇ હતી તે તેમજ મારામારી માટેની સ્ટિક્સ જપ્ત કરાઇ છે. અગાઉ પણ સુશીલ કુમારે પ્રવીણ કુમાર સામેના મુકાબલામાં ૨૦૧૭માં પ્રવીણના સમર્થકો પર હુમલો કરતા પોલીસ ફરિયાદ થઇ હતી.
પોલીસે સાગરના મૃત્યુ બદલ સુશીલ કુમારને પૂછતાછ કરવા ફોન કર્યો પણ તેણે ઉપાડયો ન હતો.