મુખ્ય સમાચાર
News of Tuesday, 7th April 2020

કોરોનાની દવા શોધવાની ખૂબ નજીક છેઃ વૈજ્ઞાનિકો

વાળમાં પડતી જૂથી કોરોનાવાયરસનો ખાતમો કરી શકાશેઃ ઓસ્ટ્રેલીયન વિજ્ઞાનીઓની શોધ સફળ થશે તો ચમત્કાર સર્જાશે

મેલબોર્નઃ દુનિયાભરમાં કોરોના વાયરસના ચેપના કેસોની સંખ્યા વધી રહી છે. કોરોના સામેની લડાઈમાં જીતવા માટે દવા બનાવવા દુનિયાભરના વિજ્ઞાનીઓ તથા સંશોધકો કામે લાગ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીએ કોરોનાનો ખાતમો કરે તેવી દવા શોધી કાઢી હોવાનો દાવો કરીને ખુશ ખબર આપ્યા છે.

ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓનો દાવો છે કે, માથામાં પડેલી જુ મારવાની દવા ૪૮ કલાકમાં કોરોનાવાયરસનો ખાત્મો કરી શકે છે. આ દાવો ચોંકાવનારો છે પણ વિજ્ઞાનીઓનો દાવો છે કે, તેમણે સચોટ પરીક્ષણો પછી આ દાવો કર્યો છે. આ દાવો સાચો પડશે તો કોરોનાવાયરસ સામેની લડતમાં અસરકારક હથિયાર મળી જશે. જૂ મારવાની દવા ઘણાં દ્યરોમાં હોય જ છે. તે જોતાં આ બહુ મોટા સમાચાર છે. આ પહેલાં અમેરિકી સાયન્ટિસ્ટ ડો. જેકબ ગ્લાનવિલેએ દાવો કર્યો હતો કે, તેમની ટીમે કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યો છે. ડો. ગ્લાનવિલેએ જણાવ્યું છે કે, સાર્સ પેદા કરનારા વાયરસ વિરૂધ્ધ ઉપયોગ કરાયેલા અનેક એન્ટીબોડીઝનાં ઉપયોગથી તેમની ટીમે કોરોનાનો ઈલાજ શોધવામાં સફળતા મેળવી નેટફ્લિકસની ડોકયુમેન્ટરી 'પૈન્ડેમિક'થી ડો. ગ્લાનવિલે દુનિયાભરમા જાણીતા બન્યા છે.

રેડિયો ન્યૂઝીલેન્ડ સાથે વાત કરતા તેમણે દાવો કર્યો કે, તેમની ટીમે સાર્સની વિરુધ્ધ ૨૦૦૨માં ઉપયોગમાં લેવામાં આવેલા ૫ એન્ટીબોડીઝનો ઉપયોગ કર્યો છે. આ જ એન્ટીબોડીઝ દ્વારા તેમણે કોરોના વાયરસનો ઇલાજ શોધવાનો પ્રયત્ન કર્યો.  SARS  CoV-2 અને COVID 19 એક જ ફેમિલીનાં વાયરસ છે. અમેરિકી વૈજ્ઞાનિકે કહ્યું કે, અત્યાર સુધી તેઓ એન્ટીબોડીઝનાં લાખો વર્ઝન તૈયાર કરી ચૂકયા છે અને તેમને મ્યૂટેટ પણ કરવામાં આવ્યા છે. નવા એન્ટીબોડીઝનાં માણસો પર પરીક્ષણ થયા બાદ તેનો ઉપયોગ કોરોના વાયરસના ચેપનો ઈલાજ કરવામાં કરી શકાશે. આ અંગેનાં પરીક્ષણ સફળ થયા બાદ સરકારી એજન્સીની પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. તમામ રિસર્ચ ફરીથી શરૂ કરાયા તેના કારણે એન્ટીબોડીઝ તૈયાર કરવામાં વધારે સમય લાગી શકે છે પણ બહુ જલદી આ દવા લોકોના ઈલાજમાં ઉપયોગમાં લઈ શકાશે.

(4:00 pm IST)