જમ્મુ-કાશ્મીરમાં વસતા 168 રોહિંગ્યા હોલ્ડિંગ સેન્ટર મોકલી અપાયા
હાલ સરકાર દ્વારા રોહિંગ્યા મુસ્લીમોની બાયોમેટ્રીક ઓળખ મેળવવા કામગીરી ઝડપી બનાવાઇ
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં 168 રોહિંગ્યા મુસલમાનોને હોલ્ડિંગ સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. જેમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે. આ સેન્ટર કઠુઆની હીરાનગર જેલમાં બનાવવામાં આવ્યું છે. શનિવારથી જ જમ્મુ-કાશ્મીર વહીવટી તંત્રએ જમ્મુમાં રહેતા રોહિંગ્યા મુસલમાનોની બાયોમેટ્રિક ઓળખ સહિત અન્ય વિગતો મેળવવાનું કામ શરૂ કરી દીધુ છે.
રોહિંગ્યા રેફ્યુજી મ્યાનમારના બાંગ્લા ભાષી અલ્પસંખ્યક મુસ્લિમ છે. પોતાના દેશમાં થઈ રહેલા અત્યાચારથી પરેશાન થઈને મોટી સંખ્યામાં રોહિંગ્યા બાંગ્લાદેશના રસ્તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને જમ્મુ સહિત દેશના વિવિધ રાજ્યોમાં વસી ગયા છે. વિદેશ અધિનિયમની કલમ 3 (2) ઈ અંતર્ગત આ હોલ્ડિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. એક હોલ્ડિંગ સેન્ટરમાં ઓછામાં ઓછા 250 લોકો રહી શકે છે.
આ અંગે અધિકારીઓનું કહેવું છે કે, તેમને હોલ્ડિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા બાદ તેમની નાગરિક્તાને લઈને વેરિફિકેશન કરવામાં આવશે. જે બાદ ગેરકાયદેસર રહેતા લોકોને હટાવવામાં આવશે. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે MAM સ્ટેડિયમમાં મ્યાનમારથી આવેલા રોહિંગ્યા મુસલમાનોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તેમની બાયોમેટ્રિક જાણકારી, રહેવાનું સ્થળ વગેરે સહિત અન્ય વિગતો એકત્ર કરવામાં આવી છે.
કેટલીક રાજનીતિક પાર્ટીઓ અને સામાજિક સંગઠનોએ કેન્દ્ર સરકારને આગ્રહ કર્યો છે કે, તેઓ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને તાત્કાલીક તેમના દેશમાં પરત મોકલવાની દિશામાં પગલા ભરે. તેમનો આરોપ છે કે, આ બન્ને દેશોથી દેશને ખતરો છે. રોહિંગ્યા મુસલમાનો અને બાંગ્લાદેશી નાગરિકો સહિત 13,700થી વધુ વિદેશી નાગરિકો જમ્મુ અને સામ્બા જિલ્લામાં વસી ગયા છે. સરકારી આંકડા અનુસાર, 2008 થી 2016 વચ્ચે તેમની વસ્તીમાં 6000થી અધિકનો વધારો થયો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિવિધ ગુપ્તચર એજન્સીઓના રિપોર્ટનો આધાર આપીને અઢી મહિના પહેલા ગૃહ વિભાગ અને પોલીસ વહીવટી તંત્રને ગેરકાયદેસર વસતા રોહિંગ્યાની વાપસી માટે રોડ મેપ તૈયાર કરવા કહ્યું હતું. રાજ્યના વહીવટી તંત્રને કહેવામાં આવ્યું હતું કે, તેઓ કોઈ એવી વ્યવસ્થા કરે, કે જ્યાં સુધી તેમને તેમના દેશ પરત ના મોકલવામાં આવે ત્યાં સુધી તેઓ સ્થાનિકોથી દૂર કોઈ એવી જગ્યાએ રહે, જ્યાં તેમના પર નજર રાખી શકાય.
તમામ રોહિંગ્યાઓને દસ્તાવેજો ઉપરાંત ફિંગર પ્રિન્ટના આધારે તેમની બાયોમેટ્રિક ઓળખ કરવા પણ કહ્યું હતું. 20 દિવસ પહેલા જ કોર્ટે હુનર ગુપ્તાની અરજી પર રાજ્ય સરકારને રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને તેમને મોકલવા સંદર્ભે એક મહિનામાં રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્ર સરકારના આદેશ બાદ પોલીસે એવી વસ્તીઓની ઓળખ કરી, જ્યાં રોહિંગ્યા રહેતા હોય. 15 દિવસ પહેલા જ હીરાનગર જેલ તંત્રએ સૂચના આપવામાં આવી કે તેઓ જેલમાં બંધ કેદીઓને અન્યત્ર ખસેડી દે. ગઈકાલે રાત્રે જમ્મુ-સાંબા, કઠુઆ, ઉધમપુર, રામબન અને રાજૌરી-પૂછના તમામ જિલ્લા કમિશ્નરો અને જિલ્લા SSPને આદેશ આપી દેવામાં આવ્યા હતા.