કોરોનાને લઇને જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો રદ : રવેડીનુ લાઇવ પ્રસારણ કરાશે
સાધુ-સંતો દ્વારા મેળાની પરંપરા જળવાશે : સાધુ-સંતો દ્વારા યોજાનાર કાર્યક્રમોમાં લોકોને પ્રવેશ અપાશે નહીં : સત્તાવાર જાહેરાત
વીનું જોશી દ્વારા, જૂનાગઢ તા.૬ : દર વર્ષે જૂનાગઢ ભવનાથમાં પાંચ દિવસનો મહાશિવરાત્રીનો મેળો ભરાય છે. ભજન, ભોજન અને ભકિતના આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મેળામાં ભકિતનું ભાથુ બાંધવા આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને ધ્યાને લઇને મેળો રદ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીની અધ્યક્ષતામાં આજે યોજાએલ બેઠકમાં રવેડીનું લાઇવ પ્રસારણ કરવા સુચના આપવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મ્યુનીસીપલ કમિશ્નર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા રવી તેજા વાસમશેટૃીની ઉપસ્થીતીમાં યોજાએલ બેઠકમાં કોરોનાની કપરી પરિસ્થિતિ સંદર્ભે મેળાની પરંપર જાળવવા સાથે સાધુ સંતો દ્વારા મહાશિરાત્રીના રાત્રે રવેડી નિકળશે, શાહીસ્નાન અને પરંપરાગત પુજાવિધીની પરંપરા જાળવવામાં આવશે. મેળામાં લોકોને પ્રવેશ અપાશે નહીં. તા. ૭ માર્ચના રોજ સવારે ભવનાથ મંદિરે સાધુ સંતો દ્રવારા ધ્વજા રોહણ કરવામાં આવશે.
આ બેઠકમાં અધિ ક નિવાસી કલેકટર ડી.કે. બારીયા, નાયબ પોલીસ અધીક્ષક પ્રદિપસિંહ જાડેજા, નાબ જિલ્લા વિકાસ અધીકારી મંડોત સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.