TMCના પ્રવક્તા સાકેત ગોખલેને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા
ગોખલે વિરુદ્ધ પ્રધાનમંત્રીના મોરબી પ્રવાસને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ
અમદાવાદની કોર્ટે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગોખલેની પ્રધાનમંત્રી મોદી અને મોરબી પુલ દુર્ઘટના પર ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી. સહાયલ પોલીસ કમિશનર (સાઇબર ક્રાઇમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યુ કે એક વ્યક્તિ પાસેથી મળેલી ફરિયાદના આધાર પર ગોખલે વિરુદ્ધ પ્રધાનમંત્રીના મોરબી પ્રવાસને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ મામલાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધતા સાકેત ગોખલેનું સમર્થન કર્યુ હતું અને ભાજપ સરકારના 'પ્રતિરોધ વલણ'ની નિંદા કરી હતી. મંગળવારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ગોખલેએ કોઈ ભૂલ કરી નથી.