કર્ણાટક વિધાનસભાની 15 બેઠકો માટે સરેરાશ 62,18 ટકા મતદાન
કૃષ્ણરાજપેટે વિધાનસભા બેઠક પર સૌથી વધુ 80 ટકા જ્યારે કેઆરપુરામાં સૌથી ઓછુ 37 ટકા મતદાન
નવી દિલ્હી:કર્ણાટકમાં આજે 15 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં સરેરાશ 62.18 ટકા મતદાન યોજાયું. કૃષ્ણરાજપેટે વિધાનસભા બેઠક પર સૌથી વધુ 80 ટકા જ્યારે કેઆરપુરામાં સૌથી ઓછુ 37 ટકા મતદાન નોંધાયું. હવે કુલ 165 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 9 ડિસેમ્બરે મતગણતરીના દિવસે થશે. કુલ 12 બેઠકો પર ભાજપ, જનતા દળ સેક્યુલર (જેડીએસ) અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય જંગ છે.
અત્રે ઉલેલ્ખનીય છે કે જુલાઈમાં કોંગ્રેસ અને જેડીએસના કુલ 17 ધારાસભ્યોના રાજીનામાના કારણે કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડી હતી. ત્યારબાદ બીએસ યેદિયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી. આ ધારાસભ્યોને તત્કાળ સ્પીકરે અયોગ્ય કરાર આપીને ચૂંટણી લડવા પર રોક લગાવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે નવેમ્બરમાં આ અયોગ્ય જાહેર કરાયેલા ધારાસભ્યોને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી આપી. હાલ કુલ 17માંથી 15 બેઠકો પર ચૂંટણી થઈ. ભાજપ અને કોંગ્રેસે તમામ 15 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતાં. જ્યારે જેડીએસએ ઉત્તર કન્નડ જિલ્લાના યેલપુર, બેંગ્લુરુ ગ્રામીણની હોસાકોટે બેઠક તથા બેલગાવાની અઠાની સીટથી ઉમેદવારો ઊભા રાખ્યા નહીં. આ પ્રકારે 12 બેઠકો પર ત્રિકોણીય જંગ અને 3 બેઠકો પર કોંગ્રેસ-ભાજપની સીધી લડાઈ છે.