ઉત્તરાખંડમાં ૫.૫ની તીવ્રતા સાથે ભૂકંપઃ દિલ્હીમાં અસર
દિલ્હી, એનસીઆર, ગુજરાતમાં અસર રહીઃ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ભૂકંપનું કેન્દ્ર : લોકોમાં ફરીવાર ભય
નવીદિલ્હી, તા.૬, દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં ઉત્તરાખંડમાં ભૂકંપ બાદ આંચકાની અસર જોવા મળી હતી. ઉત્તરાખંડમાં ૫.૫ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ત્યારબાદ દિલ્હી અને અન્ય વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી. હવામાન વિભાગ અને ભૂકંપ સાથે સંબંધિત વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂકંપનું કેન્દ્ર રહ્યું હોવાની વિગતો મળી છે. રુદ્રપ્રયાગમાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. દેશના જુદા જુદા ભાગોમાં પણ આજે આંચકાની અસર જોવા મળી હતી જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.
રાજય ઉપરથી ઓખી વાવાઝોડાની આફત ટળ્યા બાદ હજુ માંડ રાહતનો શ્વાસ લોકો લઈ રહ્યા હતા ત્યાંજ આજે બપોરના સુમારે રાજકોટ ખાતે રીકટર સ્કેલ ઉપર ૩.૧ ની તીવ્રતા સાથેનો ભૂકંપનો આંચકો આવતા લોકો રસ્તા ઉપર દોડી ગયા હતા આ ઉપરાંત કચ્છના રાપરમાં પણ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી અનુસાર,રાજય ઉપરથી ઓખી વાવાઝોડાનું સંકટ ટળ્યાની કળ વળે એ પહેલાં જ આજે બપોરના સુમારે રાજકોટવાસીઓને વધુ એક કુદરતી ઝાટકો એ સમયે લાગ્યો કે જયારે ૩.૧ ની તીવ્રતા સાથેનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો.આ આંચકાને પરિણામે લોકો પોતાના ઘર તેમજ ઓફિસ અને દુકાનોની બહાર દોડી આવ્યા હતા.આ તરફ ગાંધીનગર સ્થિત આવેલી સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે,આજે બપોરે ૧૧.૧૦ ના સુમારેરાજકોટથી ૨૭ કિલોમીટર દુર ઈસ્ટ સાઉથ ઈસ્ટ તરફનાવિસ્તારમાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.જો કે આ આંચકાની વધુ કોઈ અસર થવા પામી ન હતી.