રાહુલ ગાંધી 'બાબર ભકત - ખિલજીના સંબંધી': ભાજપ નેતા જીવીએલ નરસિંહરાવનું વિવાદાસ્પદ નિવેદન
ચુંટણીના શોરબકોરમાં ધર્મયુધ્ધઃ નેતાઓની નિવેદનબાજી સતત ચાલુ
નવી દિલ્હી તા. ૬ : ગુજરાતની ચૂંટણીની આજુબાજુ રામ મંદિરનો મુદ્દો ફરી એકવખત દેશના રાજકારણને ગરમાવી રહ્યું છે. નેતાઓની નિવેદનબાજી સતત ચાલુ છે. ભાજપા નેતા જીવીએલ નરસિંહ રાવે બુધવારના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા અને તેમણે 'બાબર ભકત-ખિલજીના સંબંધી' ગણાવી દીધા.
ભાજપા નેતાના ટ્વીટ પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કરી કે ભાજપા નેતાઓના પ્રવકતાના નિવેદનને જોઇએ તો તેના માટે સૌથી સારી જગ્યા પાગલખાનું છે. તેણે પોતાના મગજની સારવાર કરાવી જોઇએ, ઝડપથી સાજા થાય!
આપને જણાવી દઇએ કે અયોધ્યા કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી ૮ ફેબ્રુઆરી સુધી ટળી ગઇ છે. સુન્ની વકફ બોર્ડના વકીલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી કે સુનવણી ૨૦૧૯ સુધી ટાળી દેવામાં આવે. ત્યારબાદ આ મુદ્દાને લઇ ભાજપાએ સીધા કોંગ્રેસ પર પ્રહારો કર્યાં છે.
આ મુદ્દા પર મંગળવારના રોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સીધો રાહુલ ગાંધીને પ્રશ્ન પૂછયો હતો. તેમણે પૂછયું કે રામ મંદિરને લઇ તમારી પાર્ટી અને તમારું શું સ્ટેન્ડ છે? રામ મંદિરના મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ કરતાં અમિત શાહ એ કહ્યું કે ભાજપા ઇચ્છે છે કે ટૂંક સમયમાં જ આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી થાય અને નિર્ણય આવે. તેનાથી અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની શકે, જો કે દેશની આસ્થા સાથે જોડાયેલો છે.
ભાજપા અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે આખરે રામમંદિર કેસની સુનવણી રોકવાથી શું મળવાનું છે. તેમણે કહ્યું કે રામ મંદિર કેસની સુનવણીને લઇ કોંગ્રેસ પાર્ટીને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. તેમણે કહ્યું કે એક બાજુ રાહુલ ગાંધી ગુજરાતમાં મંદિર જઇ રહ્યા છે તો બીજીબાજુ રામ જન્મભૂમિ કેસ પર સુનવણી ટાળવા માટે કપિલ સિબ્બલનો ઉપયોગ કરી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ.