કોરોના મહામારી-લોકડાઉન બાદ કોલેજો ખોલવાની ગાઇડલાઇન જાહેરઃ સૌથી પહેલા માસ્ટર્સ, રિસર્ચ અને ફાઇનલ યરના અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના કલાસ શરૂ કરાશે
દેશમાં શાળાઓ બાદ હવે કોલેજો ખોલવાની તજવીજ : યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આવતી કોલેજોને તબક્કાવાર ખોલવાનો નિર્દેશ
નવી દિલ્હી, તા.૬ : દેશભરમાં હવે સ્કૂલો બાદ કોલેજ અને યુનિવર્સિટીઓ ખોલવાની તૈયારીઓ થઈ રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને આ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. જે મુજબ કન્ટેનમેન્ટ ઝોનની બહાર આવતા કોલેજોને ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, કોલેજ-યુનિવર્સિટીઓ તબક્કાવાર ખોલવામાં આવશે. જેમાં સૌથી પહેલા માસ્ટર્સ, રિસર્ચ અને ફાઈનલ યરના અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના ક્લાસ શરૂ થશે. જે બાદ અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે કોલેજ ખોલવામાં આવશે.
યુજીસીની ગાઈડલાઈન્સ અનુસાર, એક ચોક્કસ સંખ્યામાં વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવવામાં આવશે. કોઈ પણ ક્લાસમાં જો ૧૦૦ વિદ્યાર્થીઓ હોય, તો એક દિવસમાં માત્ર ૫૦ જ વિદ્યાર્થીઓ આવી શકશે. જણાવી દઈએ કે, ગત મહિને કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું હતું કે, ૧૫ ઓક્ટોબર બાદ સ્કૂલ અને કોલેજ ખોલવાનો નિર્ણય રાજ્યો લઈ શકે છે. જે બાદ કેટલાક રાજ્યોએ સ્કૂલો ખોલી દીધી છે. જ્યારે કેટલાક રાજ્યો સ્કૂલો અને યુનિવર્સિટી ખોલવા જઈ રહ્યાં છે.
કોલેજ-યુનિવર્સિટી માટે યુજીસીની ગાઈડલાઈન્સ
* તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કોલેજમાં એન્ટ્રી વખતે થર્મલ સ્ક્રીનિંગ થશે.
* વિદ્યાર્થીઓને ભણાવવા માટે ક્લાસના સમય વધારવા અને અઠવાડિયામાં ૬ દિવસનું શિડ્યૂલ બનાવવાનું સૂચન આપવામાં આવ્યું છે.
* કોલેજોમાં અલગ-અલગ બેંચમાં ભણાવવામાં આવશે. આ દરમિયાન માસ્ક- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું જરૂરી છે.
* કોલેજમાં વિદ્યાર્થીઓની હાજરી મૌખિક રીતે લેવાશે.
* જે વિદ્યાર્થીઓ ઑનલાઈન અભ્યાસ કરવા માંગે છે, તેમના માટે યુનિવર્સિટીને વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે.
* રેસિડેન્સિયલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહેવાનું શરૂ કરી શકે છે, પરંતુ રૂમ શેયરિંગ પર રોક રહેશે.
* જે વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણો જણાશે, તો તેમને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા અને સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓના આઈસોલેશનની વ્યવસ્થા પણ કરવી પડશે.