કોડીનારની બાળાની હથીયારના ૩૭ ઘા ઝીંકી હત્યા
રઘુવંશી વેપારી વિમલભાઇ ઠકરારની ૧૬ વર્ષની વિમાંશીનો મૃતદેહ સવારે જંગલની ઝાડીમાંથી મૃતદેહ મળ્યો : અભ્યાસ કરતા યુવકોએ ઘરેથી બોલાવ્યા બાદ અવાવરૂ જગ્યાએથી લાશ મળીઃ બે શંકાસ્પદ શખ્સોની પૂછપરછઃ અજુગતુ થયાનું તારણઃ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને જામનગર ખસેડાયોઃ લોહાણા પરિવારમાં હાહાકાર
તસ્વીરમાં માસુમ બાળાનો અવાવરૂ જગ્યામાંથી મળેલો મૃતદેહ નજરે પડે છે
વેરાવળ તા.૬ :. કોડીનારની લોહાણા સમાજની માસુમ બાળાની હથીયારના ૩૭ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હાહાકાર મચી ગયો છે. આ બાળા સાથે અજુગતુ થયાનું પણ ચર્ચાય રહ્યુ છે. હત્યા બાદ પોલીસે બે શંકાસ્પદ યુવકોની પૂછપરછ પણ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કોડીનારના વેપારી વિમલભાઇ ધનસુખભાઇ ઠકરારની ધો.૧૧માં ભણતી પુત્રી વિમાંશી(ઉ.૧૬) ગઈકાલે તા.પના રાત્રીના ૮:૩૦ થી ૯ દરમિયાન ઘરે કોઇને જાણ કર્યા વગર ઘરેથી નિકળી ગઇ હતી.
અડધા કલાક પછી પુત્રી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને ર કલાક સુધી શોધખોળ કરવા છતાં પતો નહી લાગતા પોલીસને જાણ કરી હતી. પોલીસે અને પરિવારજનોએ આખી રાત જુદી જુદી જગ્યાએ તપાસ હાથ ધરી હતી પરંતુ માસુમ બાળાનો પત્તો લાગ્યો ન હતો.
જયારે આજે સવારે આ માસુમ પુત્રીનો મૃતદેહ તેના ઘરથી ર કિ.મી. દૂર બાપેશ્વર મંદિરની પાછળ જંગલની ઝાડીમાં અવાવરૂ જગ્યામાંથી મળી આવ્યો હતો.
જેથી તાત્કાલીક પરિવારજનો અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
આ બનાવની જાણ થતાં લોહાણા સમાજમાં હાહાકાર મચી ગયો છે.
જાણવા મળતી વિગત મુજબ આ માસુમ બાળા સ્કૂલમાં અભ્યાસ કરતી હોય તેની સાથેના યુવકોએ તેને ઘરેથી રાત્રીનાં બોલાવેલ હોય તેવું મોબાઇલ કોલ ડિટેઇલ માંથી જાણવા મળેલ છે.
આ બાળાનાં શરીર ઉપર અનેક ઇજાના નિશાન હોવાથી તેની ઉપર અજુગતુ થયાનું ચર્ચાય રહયું છે.
પોલીસે મૃતદેહને પ્રથમ કોડીનાર હોસ્પિટલે ખસેડયો હતો. ત્યાર બાદ પરિવારજનોએ પેનલ પી.એમ.ની માંગણી કરતા મૃતદેહને જામનગર ખસેડવા તજવીજ હાથ ધરી છે.
આ પહેલા આ માસુમ બાળાને દિપડાએ હુમલો કરીને ફાડી ખાધી હોવાનું પણ ચર્ચાય રહ્યુ હતુ જો કે વન વિભાગની ટીમે બાળા ઉપર થયેલા ઈજાના નિશાનના આધારે તેની ઉપર કોઈ વન્ય પ્રાણીએ હુમલો કર્યો હોવાની વાત નકારી કાઢી હતી.
આ પ્રકરણમાં પોલીસે ૧ બ્રાહ્મણ સહિત બે યુવકોની પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યુ છે.
આ બનાવની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોહાણા સમાજના આગેવાનો-કાર્યકરો દોડી ગયા હતા.