મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવા માટેની વકી : વેપારીઓ સાવધાન

પ્રવાહી સ્થિતિ વચ્ચે રોકાણકારો નાણાં નહીં રોકવાના મૂડમાં : આરબીઆઈ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાય કેટલાક નકારાત્મક પરિબળ સક્રિય : આઈઆઈપી ડેટા, કમાણીના આંક જાહેર થશે

મુંબઈ, તા. ૬ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતા નવા કારોબારી સેશનમાં શ્રેણીબદ્ધ પરિબળોની સીધી અસર શેરબજારમાં જોવા મળી શકે છે. ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, આઈઆઈપી ડેટા, આરબીઆઈ પોલિસીની સમીક્ષાના પરિણામ અને વૈશ્વિક પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. આરબીઆઈએ પોલિસી સમીક્ષા જારી કરતી વેળા વ્યાજદરમાં ફરી એકવાર ઘટાડો કરી દીધો છે. શુક્રવારના દિવસે આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો જેની સીધી અસર આવતીકાલથી શરૂ થતાં નવા સેશનમાં જોવા મળી શકે છે. જો કે, ભારતીય ઇક્વિટી માર્કેટમાં નબળા માઇક્રો ઇકોનોમિક ડેટાના આંકડાની અસર રહી હતી અને શેરબજારમાં અફડાતફડી રહી હતી. આરબીઆઈએ પણ આર્થિક વિકાસનો અંદાજ આ નાણાંકીય વર્ષ માટે ૬.૯ ટકાથી ઘટાડીને ૬.૧ ટકા કરી દીધો છે. આ નકારાત્મક પરિબળોની અસર બજારમાં રહી શકે છે. એકબાજુ આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કરી આર્થિક સુસ્તીને દૂર કરવાના પ્રયાસો કર્યા છે. બીજી બાજુ આર્થિક વિકાસનો અંદાજ પણ ઘટાડી દીધો છે. બેંચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ સેંસેક્સ અને નિફ્ટીમાં શુક્રવારના દિવસે સતત પાંચમાં કારોબારી સેશનમાં ઘટાડો રહ્યો હતો.

સપ્તાહ સુધી બંને ઇન્ડેક્સમાં સાપ્તાહિક આધાર પર પાંચ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ક્રમશઃ ૩૭૬૭૩ અને ૧૧૧૭૫ની સપાટી રહી હતી. સાપ્તાહિક આધાર પર રહી હતી. ટેકનિકલ આધાર પર સાપ્તાહિકરીતે નીચી સપાટી રહી હતી અને અંતે ૧૧૧૮૦ની સપાટી જોવા મળી હતી. જાણકાર લોકોના કહેવા મુજબ નિફ્ટીમાં કેટલીક અડચણો ૧૧૨૬૦ની સપાટી ઉપર આવી શકે છે. આગામી સપ્તાહમાં બજારને જે પરિબળો અસર કરનાર છે તેમાં ત્રિમાસિક ગાળાના ઇસીબીના પરિણામનો સમાવેશ થાય છે. ત્રિમાસિક ગાળાના પરિણામોની સિઝન હવે શરૂ થઇ રહી છે. જુલાઈ-સપ્ટેમ્બરની કમાણીની સિઝનની શરૂઆત થવા જઈ રહી છે જેના ભાગરુપે આઈટીની મહાકાય કંપની ટીસીએસ, ઇન્ફોસીસ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે

         આ બંને દ્વારા ક્રમશઃ ૧૦મી અને ૧૧મી ઓક્ટોબરના દિવસે પરિણામ જાહેર કરાશે. ગોવા કાર્બન, ઇન્ડસઇન્ડ બેંક, બજાજ કન્ઝ્યુમર અને આઈટીઆઈના પરિણામ જાહેર કરાશે. બીજી બાજુ મૂડીરોકાણકારો માટે કેટલાક આંકડા ઉપયોગી સાબિત થનાર છે. ભારત અને ચીન વચ્ચે બેઠક ઉપર પણ હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. ચીનના પ્રમુખ જિંગપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમની બીજી અનૌપચારિક બેઠક યોજવા માટે પહોંચી રહ્યા છે. ચેન્નાઈ નજીક મહાબલીપુરમ ખાતે આ બેઠક યોજાનાર છે. ૧૧મી ઓક્ટોબરથી ૧૩મી ઓક્ટોબર વચ્ચે ચીની પ્રમુખ સાથે મોદીની આ વાતચીત રહેનાર છે. વૈશ્વિક માર્કેટમાં ચાવીરુપ ડેટાની અસર પણ દેખાશે જેમાં અમેરિકામાં બેરોજગારીના દાવાઓ, વ્યાજદરને લઇને વૈશ્વિક સ્તર પર બેઠક, હોલસેલ કારોબારનો સમાવેશ થાય છે. યુરોપમાં ઇસીબીની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ૮મી ઓક્ટોબરના દિવસે મળનાર છે જેમાં વ્યાજદરના મુદ્દા ઉપર કોઇ મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.

(8:04 pm IST)