પંજાબનાં મુખ્યમંત્રી ફરી વરરાજા બનશે : ભગવંત માન ગુરુવારે ચંદીગઢમાં ડો.ગુરપ્રીત કૌર સાથે સાત ફેરા ફરશે
લગ્ન સમારોહમાં અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે : ભગવંત માનની પ્રથમ પત્નીએ રાજનીતિના કારણે લીધા હતા છૂટાછેડા !
ચંડીગઢ તા.06 : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બીજી વખત ડો.ગુરપ્રીત કૌર સાથે લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, ભગવંત માનની પ્રથમ પત્નીએ ભગવંત માનને તેની રાજનીતિનાં કારણે છૂટાછેડા આપી દીધા હતા.
ભગવંત માનના પહેલા લગ્ન ઈન્દ્રપ્રીત કૌર સાથે થયા હતા. ભગવંત માનનો 17 વર્ષીય પુત્ર દિલશાન માન અને 21 વર્ષિય પુત્રી સીરત કૌર માન તેમની માતા ઈન્દ્રપ્રીત કૌર સાથે અમેરિકામાં રહે છે. 20 માર્ચ 2015ના રોજ ભગવંત માન ઈન્દ્રપ્રીત કૌરે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં માનની દલીલ એવી હતી કે તે રાજનીતિના કારણે તેની પત્નીથી છૂટાછેડા લઈ રહ્યો છે. લોકોએ તેમને વિશ્વાસથી પસંદ કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, કોર્ટમાં આપવામાં આવેલી અરજીમાં ભગવંત માનની પત્નીએ એવી શરત મૂકી હતી કે, જો માન ભારત છોડીને કેલિફોર્નિયા શિફ્ટ થઈ જશે તો તે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેશે. જી તરફ માન રાજકારણ છોડીને વિદેશ જવા માંગતા ન હતા. માનની દલીલ એવી હતી કે તે લોકોનો વિશ્વાસ તોડી શકે તેમ નથી. જો તેની પત્ની તેની સાથે ભારતમાં સ્થાયી થવા માંગતી હોય તો તે છૂટાછેડાની અરજી પાછી ખેંચી લેશે. ભગવંત માને પોતાના ફેસબુક પેજ પર છૂટાછેડાનું કારણ પણ શેર કર્યું છે.