પેરિસમાં મારો કોઈ બંગલો નથી : એક્ટ્રસ તાપસી પન્નુ
નાણાંમંત્રીને બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ વળતો જવાબ આપ્યો : ઈન્કમટેક્સ વિભાગે બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડિરેક્ટર અનુરાગ કશ્યપને ત્યાં પાડેલા દરોડાના સંદર્ભે વિવાદ વકર્યો
મુંબઈ, તા.૬ : બોલીવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ, ડિરેક્ટર અનુરાગ કશ્યમ અને તેમના સહયોગીઓના ઘર તેમજ ઓફિસ સહિતના સ્થળોએ આવકવેરા વિભાગના દરોડાના પગલે વિપક્ષના નેતાએ સરકાર પર નિશાન સાધ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમને પણ આ મામલે શુક્રવારે જણાવ્યું કે ૨૦૧૩માં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા પરંતુ ત્યારે તેને મુદ્દો બનાવવામાં આવ્યો નહતો, જે પ્રકારે અત્યાર બનાવવામાં આવી રહ્યો છે. નાણાંમંત્રીના નિવેદન બાદ તાપસી પન્નુએ ટ્વીટ કરીને વળતો જવાબ આપ્યો છે જે ખૂબ વાઈરલ થયું છે. તાપસી પન્નુએ સળંગ ત્રણ ટ્વીટ કરીને પોતાની વાત જણાવી છે. પ્રથમ ટ્વીટમાં તેણે લખ્યું કે, ત્રણ દિવસમાં મુખ્યત્વે ત્રણ તપાસ કરવામાં આવી. ૧. કથિત રીતે પેરિસમાં મારા બંગ્લાની ચાવી. કારણ કે, ઉનાળું વેકેશન આવી રહ્યું છે. ૨. પાંચ કરોડ રૂપિયાના કથિત રસીદો જેને મઢાવીને ભવિષ્ય માટે રાખવામાં આવશે કારણ કે મે અગાઉ પણ આ નાણાંને ઠુકરાવ્યા હતા. ૩. આપણા માનનીય નાણાંમંત્રી સિતારમન મુજબ ૨૦૧૩માં મારા પર દરોડા પાડવામાં આવ્યા હતાપ હવે હું એટલી સસ્તી નથી.
તાપસીના ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. અગાઉ શુક્રવારે નાણાંમંત્રી નિર્મલા સિતારમને જણાવ્યું હતું કે, જો કોઈ ચોરી કરવામાં આવી છે તો તેની માહિતી મેળવવી રાષ્ટ્રીય હિતમાં છે. સિતારમને કહ્યું કે, હું કોઈ એ અથવા બી વિશે વાત નથી કરવા માંગતી. અહીં કેટલાક નામનો ઉલ્લેખ કરાયો છે, અગાઉ ૨૦૧૩માં પણ તેમના પર આવકવેરાના દરોડા હાથ ધરાયા હતા. તે સમયે આ વાતને મુદ્દો બનાવાયો નહતો, પરંતુ હવે તેમ કરવામાં આવી રહ્યું છે.
આવકવેરા વિભાગે ૩ માર્ચના રોત તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપ તેમજ તેમની ભાગીદારોના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત ફેન્ટમ પ્રોડક્શન તેમજ ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની પર પણ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરોડામાં મુંબઈ, પુણે, દિલ્હી તેમજ હૈદરાબાદમાં વિવિધ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.