નેપાળ પોલીસના ગોળીબારમાં ભારતીય યુવકનું મોત નિપજ્યું
ભારત-નેપાળ સરહદે ફરી એક વખત તણાવ સર્જાયો : નેપાળ ફરવા ગયેલા પીલભીતના ત્રણ યુવકોને ત્યાંની પોલીસ સાથે રકઝક થતાં ફાયરિંગથી યુવકનું મોત થયું
પીલીભીત, તા.૫ : ભારત અને નેપાળની સરહદ પર ફરી એક વખત તનાવ સર્જાયો છે. નેપાળની પોલીસે એક ભારતીય નાગરિકને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છે.
યુપીના પીલીભીત પાસે ભારત અને નેપાળની સીમા પસાર થાય છે. પીલીભીતના ત્રણ યુવકો બોર્ડરની બીજી તરફ નેપાળ ફરવા ગયા હતા. જ્યાં કોઈ મુદ્દે તેમને નેપાળની પોલીસ સાથે રકઝક થઈ હતી. એ પછી નેપાળી પોલીસે ભારતીય નાગરિકો પર ફાયરિંગ કર્યુ હતુ. જેમાં એક યુવકનુ સ્થળ પર જ મોત થયુ હતુ. જેનો મૃતદેહ હજી નેપાળની હોસ્પિટલમાં જ છે. જ્યારે એક યુવક જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભારતની સીમામાં પાછો આવી ગયો હતો. જ્યારે ત્રીજા યુવકની કોઈ જાણકારી સામે આવી નથી.
આ ઘટનાની જાણ થતા જ ઈન્ડો-નેપાળ બોર્ડર પર તૈનાત સુરક્ષાદળોમાં હડકંપ મચી ગયો હતો. એ પછી મોટા પાયે સુરક્ષા દળોને અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. પીલીભીત પોલીસે કહ્યુ હતુ કે, આ ત્રણ યુવકો ફરવા માટે નેપાળ ગયા હતા અને ત્યાંની પોલીસ સાથે ઝઘડો થયા બાદ તેમના પર ફાયરિંગ કરાયુ હતુ.
જોકે બોર્ડર પર માહોલ વધારે ના બગડે તે માટે મોટાપાયે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ત્રીજા યુવકની ભાળ મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.