શુક્રવારે ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિઃ બોટાદમાં લોકડાયરો
ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, દમયંતીબેન બરડાઇ, ગોપાલ બારોટ, રાધાબેન વ્યાસ, નિલેશ પંડયા, નવનીત શુકલા રમઝટ બોલાવશેઃ સુરક્ષા સેતુ સોસાયટી - બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા : પ્રેરક આયોજનઃ બોટાદ તથા રાણપુર ખાતે મેઘાણી - પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થશેઃ ઝવેરચંદ મેઘાણીએ જ્યાં અંતિમ શ્વાસ લીધા તે ઐતિહાસિક નિવાસસ્થાન ગુજરાત સરકાર દ્વારા સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી
રાજકોટ તા. ૬ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૭૧મી પુણ્યતિથિ — ૯ માર્ચ ૨૦૧૮ ને શુક્રવાર — રાત્રે ૯ કલાકે, એમની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (જૂનું માર્કેટ યાર્ડ, પાળિયાદ રોડ) ખાતે 'મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરા)નું ભવ્ય આયોજન સુરક્ષા સેતુ સોસાયટી – બોટાદ જિલ્લા પોલીસ તથા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થયું છે. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષ હાલ ચાલી રહ્યું હોવાથી સતત આઠમા વર્ષે આયોજિત થઈ રહેલ આ સ્વરાંજલિ કાર્યક્ર્મનું સવિશેષ મહત્વ છે.ગુજરાતના ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, દમયંતીબેન બરડાઈ, રાધાબેન વ્યાસ, નીલેશ પંડ્યા અને નવનીત શુકલા ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોની રમઝટ બોલાવશે. લોકસાહિત્યકાર ગોપાલ બારોટ ઝવેરચંદ મેઘાણીના જીવન-કવન વિશે રસપ્રદ વાતો કહેશે. કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, ભેટ્યે ઝૂલે છે તલવાર, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, આષાઢી સાંજનાં અંબર ગાજે જેવી ઝવેરચંદ મેઘાણીની અમર રચનાઓ રજૂ થશે. ચાંદો ઊગ્યો ચોકમાં, જોડે રહેજો રાજ, દાદા હો દીકરી, મહેંદી તે વાવી, સવા બશેરનું મારું દાતરડું, સોના વાટકડી રે, કાન તારી મોરલી, આભમાં ઝીણી ઝબૂકે વીજળી, આવી રૂડી અંજવાળી રાત, માડી હું બાર બાર વરસે આવિયો, ના છડિયાં હથિયાર જેવાં સદાબહાર લોકગીતો પણ તેમના સંગ્રહ 'રઢિયાળી રાત 'માંથી રજૂ થશે. જે હજી છાપખાનામાં હતી ત્યારે ઝવેરચંદ મેઘાણી આ દુનિયા છોડી ગયા હતા તેવી તેમની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'માંથી ગંગા સતી, જેસલ-તોરલની પ્રાચીન અમરવાણી આ પ્રસંગે ખાસ આસ્વાદ-રૂપે રજૂ થશે.'મેઘાણી વંદના'કાર્યક્ર્મને માણવા સહુ રસિકજનોને પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)નું ભાવભર્યું જાહેર નિમંત્રણ છે. વિશ્વભરમાં વસતાં ગુજરાતીઓ આ ભાવાંજલિ કાર્યક્ર્મને ઘર બેઠા નિહાળી શકે તે માટે તેનું ઈન્ટરનેટ પર જીવંત પ્રસારણ (વેબકાસ્ટ) www.eevents.tv/meghani પર થશે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ પોલીસ-લાઈનમાં થયો હોવાથી ગુજરાત પોલીસ એમનું 'લાઈન બોય' તરીકે સવિશેષ ગૌરવ અનુભવે છે. આ કાર્યક્ર્મ માટે બોટાદ જિલ્લાના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર અને સમગ્ર બોટાદ જિલ્લા પોલીસનો લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે. બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, બોટાદ નગરપાલિકા તથા બોટાદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.નો પણ સહયોગ મળ્યો છે. બોટાદ પાસે આવેલ સરવા ગામના મૂળ વતની અને ભરૂચને પોતાની કર્મભૂમિ બનાવનાર મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડનો સતત લાગણીભર્યો સહયોગ રહ્યો છે. બોટાદ તથા રાણપુર ખાતે સ્થાપિત મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ થશે.
કર્મ-નિર્વાણભૂમિ બોટાદ સાથે ઝવેરચંદ મેઘાણીનાં લાગણીસભર સંભારણાં
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું નિધન ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે સાળંગપુર રોડ પર રેલવે-ફાટક પાસે આવેલા તેમના નિવાસસ્થાને થયેલું. આ નિવાસસ્થાન તેમણે ૧૯૩૩માં બંધાવેલું. શરૂઆતનાં થોડાં વરસ ટાવર રોડ પર સરકારી હાઈસ્કૂલની સામે આવેલી 'તળસી મિસ્ત્રીના તાજિયા' તરીકે ત્યારે ઓળખાતી જાજરમાન ઇમારતના પહેલા મજલા પરના નાના એક ભાગમાં રહેલા.બોટાદ સાથે તેમના જીવનની અનેક મહત્ત્વની ઘટનાઓ ને સ્મૃતિઓ સંકળાયેલી છે. અનેક તેમનાં લોકપ્રિય પુસ્તકો અહીં લખાયાં.રાણપુર-સ્થિત સાપ્તાહિક અખબાર 'ફૂલછાબ'ના તંત્રી તરીકે કામગીરી બજાવતા ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા આવ-જા કરતા. સવારે ૬ વાગ્યાના અરસામાં નીકળતી, અને ત્યારે 'ફાસ્ટ' તરીકે ઓળખાતી, ગાડી પકડવા વહેલા ઊઠે. પત્ની-બાળકોની ઊંઘમાં ખલેલ ન પડે તેનો સતત ખ્યાલ રાખતાં પોતે પહેલાં પરવારી જઈને જાતે ચા મૂકે. ચા પીને નીકળતાં અગાઉનું છેલ્લું કામ હોય માથે ફેંટો બાંધવાનું. કયારેક મોડું થઈ ગયું હોય તો ફેંટાના છેલ્લા આંટા લેતા લેતા જ ઘરની બહાર આવે અને ઘરની પડખેથી પસાર થતા રેલ-પાટાને અડીને સમાંતર ચાલતી સાંકડી કેડી પકડી લઈને ઉતાવળે સ્ટેશન ભણી ગતિ કરે. એ જ 'ફાસ્ટ'ના વળતા ફેરામાં રાતે પાછા ફરે. કલાકોને હિસાબે મોડી પડવા માટે નામચીન હતી આ ટ્રેન; એટલે બીજા બે-ત્રણ ઉતારુઓ સાથે સહિયારી ઘોડાગાડીમાં બેસીને થાકયાપાકયા ઘેર પહોંચે ત્યારે દસ વાગી ચૂકયા હોય. તોય, 'બાપુજી'ની વાટ જોતાં ઝોલે ચડીને અંતે નીંદરમાં સરી ચૂકેલાં બાળકોને માથે હેતભર્યો હાથ ફેરવવાનું એ પ્રેમાળ પિતા ન ચૂકે.'ફૂલછાબ'દર શુક્રવારે બહાર પડે. એમનું કામ આગલી સાંજ સુધીમાં પતી ગયું હોય. નવા અંકની તૈયારી સોમવારથી શરૂ થાય તે પહેલાના શુક્ર-શનિ-રવિના ત્રણ દિવસ રાણપુર જવાનું ન હોય એમને. એ દિવસો દરમિયાન લોકસાહિત્યના સંશોધનાર્થે કે અન્ય કોઈ કારણસર બહારગામ ન હોય તો, સંતાનો સાથે બહાર નીકળવાની તક મળે એ દ્રષ્ટિએ, બાળકોને લઈને નજીકની વાડીએ નહાવા-ધોવા જાય. કુંડીની પાળે બેસીને કપડાં કેમ ધોવાં તે પિતા બાળકોને શીખવે. સાબુનો ઉપયોગ કર્યા વિના પણ કેવી રીતે ડિલ ચોળીને સરસ નાહી શકાય, નાહી રહ્યે ટુવાલે ઘસીઘસી લૂછીને ડિલ અને માથું કેવાં સાવ કોરાં કરી નાખવાં જોઈએ — એવી એવી ઝીણીમોટી બાબતો પ્રયોગ કરીને બતાવે. બોટાદમાં અંગત અને નિકટના કહી શકાય એવા જૂજ મિત્રોમાંના એક તે લખુભાઈ શેઠ. બેઉ કુટુંબો વચ્ચે પણ ખાસ્સો ઘરોબો. ઝવેરચંદ મેઘાણી અવારનવાર સહકુટુંબ એમને ઘેર જાય. લખુભાઈને વિશાળ એક વાડી બોટાદ સ્ટેશનને અડીને હતી. સહુ વાડીએ ફરવા જાય. ત્યાં કલાકો ગાળે. જાંબુડીના ઝાડ હેઠળ બુંગણ પાથરી આરામ પણ કરે. વાડીના કુદરતભર્યા વાતાવરણ વચ્ચે રહી ઝવેરચંદ મેઘાણી તરોતાજા થઈ જાય.સદાય સ્વચ્છ, સફાઈદાર વસ્ત્રો પહેરતા ઝવેરચંદ મેઘાણી પોતાના બુટ-ચંપલ પણ હમેશાં ચકચકિત હોય તે બાબતે ખાસ ધ્યાન રાખતા. એ જવાબદારી કાયમ માટે સંભાળનાર હતા બોટાદ રેલ્વે-સ્ટેશન પર બુટ-પાલીશ કરી ગુજરાન ચલાવતા ભીખાભાઈ બથવાર. ભીખાભાઈની અલકમલકની વાતો તેઓ રસભેર સાંભળતા.એમના મકાનની પાડોશમાં રહેતા અને ગાયો રાખી દૂધનો વ્યવસાય ચલાવતા હાથીભાઈ ખાચર એમના અંગત વિશ્વાસુ માણસ તરીકે પણ કામ કરતા. પિતા કાળીદાસ ફોજદાર તરીકે નાનો જે દંડો હાથમાં રાખતા તેના થકી જાણેઅજાણે પણ કોઈ નિર્દોષને કયારેક અન્યાય થયો હોય એમ માનીને ઝવેરચંદ મેઘાણીએ પિતાના અવસાન બાદ પોતે એ ન રાખતાં હાથીભાઈને સોંપી દીધેલો, જે એમના વંશજોએ હજી સાચવી રાખેલ છે !૧૯૪૧માં 'ફૂલછાબ'માં 'મુખડા કયા દેખો દર્પણ મેં' કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ ઝવેરચંદ મેઘાણી પર બ્રિટિશ સરકારે ખોટી રીતે ફોજદારી કેસ દાખલ કર્યો હતો. તે વખતના નામી ધારાશાસ્ત્રીઓની ત્રિપુટી - હિંમતલાલ શુકલ, પ્રભુદાસ પટવારી અને પાંડુરાવ દેસાઈએ ઝવેરચંદ મેઘાણીનો કેસ જુસ્સાભેર અને નિડરતાથી લડ્યો અને આખરે નિર્દોષ છૂટ્યા હતા. ઝવેરચંદ મેઘાણી ખોટા-કેસમાંથી હેમખેમ બહાર આવે તે માટે બેરિસ્ટર હિમંતલાલ શુકલના ધર્મિષ્ઠ પત્ની કમળાબેનએ સાળંગપુર સ્થિત જગ-પ્રસિધ્ધ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના દર્શનની માનતા રાખેલી. આ માનતા પૂર્ણ કરવા ઝવેરચંદ મેઘાણી સહુને બોટાદથી ગાડામાં બેસાડીને સાળંગપુર દર્શનાર્થે તેડી ગયા હતા.૧૯૪૫માં 'ફૂલછાબ'ના તંત્રીપદેથી મુકત થઈ ૨૩ વરસના સળંગ પત્રકાર-જીવનમાંથી અંતે નિવૃત્ત્િ। લીધી.
૮ માર્ચ ૧૯૪૭ લોકસાહિત્યના સંશોધન અર્થે પોતે કરેલ પરિભ્રમણ દરમિયાન લોકમુખેથી સાંભળીને ટાંચણપોથીમાં ટપકાવી રાખેલાં ૧૦૪ પ્રાચીન ભજનોનાં સંગ્રહ 'સોરઠી સંતવાણી'નું લેખન-કાર્ય પૂર્ણ થયું ને ૫૦ પાનાંના પ્રવેશકનાં પ્રૂફ તપાસવા માટે છાપખાનામાંથી આવ્યાં. તેમના અવસાન પહેલાના છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન એમનું ચિત્ત્। સંતોની ભજનવાણી ભણી વધુ ને વધુ ઢળતું ગયેલું. કહે છે કે છેલ્લે પોતે નવાં કાવ્યો લખતા નહોતા, કારણ કે આ ભજનવાણીમાં જ એમની લાગણીઓના પડઘા એ સાંભળતા હતા. વર્ષો પૂર્વેની ટાંચણપોથીઓમાં પડેલી અપાર સામગ્રીમાંથી આ પુસ્તકના બીજા ત્રણ-ચાર સંગ્રહો તૈયાર કરી દેવાની પણ એમની ઈચ્છા હતી. 'લોકવાણીનો અંતિમ પરિપાક ભજનવાણી છે'તેમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. સાંજે બોટાદ ખાતે પ્રાથમિક શાળાના શિક્ષકોના સંઘના સમારંભમાં ઉદ્બોધન કર્યું. આ એમનું છેલ્લું જાહેર પ્રવચન!
૯ માર્ચ ૧૯૪૭ : બોટાદ ખાતે નિધન
૯ માર્ચેની સવારથી જ ઝવેરચંદ મેઘાણીને હૃદયમાં ભારે દર્દ ઊપડ્યું. મોડી રાતે આવેલ હૃદયરોગનો અસહ્ય હુમલો જીવલેણ નીવડ્યો ને ૫૦ વર્ષની વયે આ ફાની દુનિયા છોડી ગયા. ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભાવભીની અંજલિ અર્પી હતી : 'ઝવેરચંદ મેઘાણી ભારતની સ્વતંત્રતાના યુધ્ધના સૈનિકોમાંના એક અગ્રગણ્ય સૈનિક હતા. એમની વાણીમાં વીરતા ભરેલી હતી. ગુજરાતી સાહિત્યમાં એમણે નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો. એ સાહિત્ય એમને અમર કરી રહેશે. એમના અચાનક ચાલી જવાથી ગુજરાતને ભારે ખોટ પડી છે. તે સહેજે પુરાય તેમ નથી. માત્ર સંતોષની વાત એટલી જ છે કે જે સ્વતંત્રતાને માટે એ જિંદગીભર લડ્યા હતા તે અચૂક આવી રહેલી જાણીને ગયા.' ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'એમની પ્રથમ માસિક પુણ્યતિથિ – ૯ એપ્રિલ ૧૯૪૭ના રોજ પ્રગટ થઈ. ઝવેરચંદ મેઘાણીના અવસાન પછી પરિવારની વિકટ આર્થિક પરિસ્થિતિને લીધે, દુર્ભાગ્યવશ, એમનું ઐતિહાસિક નિવાસસ્થાન વેચાઈ ગયું હતું. હાલ અન્યની ખાનગી માલિકીનું અને બંધ હાલતમાં છે. ઝવેરચંદ મેઘાણી જયાં જીવનનો છેલ્લો દશકો રહ્યા અને અંતિમ શ્વાસ લીધા તેવું આજે પણ અડીખમ ઊભેલું આ ઐતિહાસિક નિવાસસ્થાન ગુજરાત સરકાર દ્વારા ભવ્ય સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.
સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન
www.jhaverchandmeghani.com
મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯
ઈ-મેઈલઃpinakimeghani@gmail.com