મોનિટરી પોલિસી કમિટિની મિટિંગ શરૂ : બુધવારે નિર્ણય
હાલ વ્યાજદર યથાવત રહે તેવી પ્રબળ શક્યતા : ફુગાવો અને અન્ય જુદા જુદા પરિબળો પર વાતચીતની શરૂઆત : ઉર્જિત પટેલની કમિટી પર હવે બધાની નજર
નવી દિલ્હી,તા. ૬ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠક આજે અનેક અપેક્ષા વચ્ચે શરૂ થઇ હતી. બે દિવસ સુધી આ બેઠક ચાલનાર છે. આજે દિવસભર નિષ્ણાંતો વચ્ચે આ બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા થનાર છે. આજે વ્યાપક ચર્ચા વ્યાજદર , ફુગાવા, અને વિકાસના મુદ્દા પર થયા બાદ એમપીસી પરિણામ આવતીકાલે સાતમી ફેબ્રુઆરીના દિવસે જાહેર કરશે. વ્યાજદરમાં કોઇપણ ઘટાડો કરવામાં આવે છે કે કેમ તે અંગેનો ફેંસલો સાતમી ફેબ્રુઆરીના દિવસે લેવાશે. વર્ષ ૨૦૧૭-૧૮ માટે છઠ્ઠી દ્વિમાસિક નાણાંકીય પોલિસી સમીક્ષાની બેઠક આજે શરૂ થઇ હતી. બુધવારના દિવસે બપોરે રિઝર્વ બેંક દ્વારા આ બેઠકના પરિણામ જાહેર કરવામાં આવશે. તેની ડિસેમ્બર સમીક્ષામાં આરબીઆઈએ ફુગાવામાં વધારો થવાની દહેશત વચ્ચે વ્યાજદરમાં કોઇ ફેરફાર કર્યો ન હતો જ્યારે વર્તમાન નાણાંકીય વર્ષ માટે વિકાસની આગાહીને ઘટાડીને ૬.૭ ટકા કરી હતી. રિઝર્વ બેંકે ઓગસ્ટ મહિનામાં બેંચમાર્ક લેન્ડિંગ રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરીને તેને ૬ ટકા કર્યો હતો. આની સાથે જ વ્યાજદર છ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. બેંકરો અને નિષ્ણાત લોકોનો મત છે કે, આરબીઆઈ સતત ત્રીજી વખત ચાવીરુપ રેપોરેટ અથવા તો શોર્ટ ટર્મ લેન્ડિંગ રેટને યથાવત રાખશે. કારણ કે ફુગાવો હજુ પણ વધવાની સંભાવના દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે ત્યારે રેટમાં વધારો થઇ શકે છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજકિરણ રાયનું કહેવું છે કે, આરબીઆઈ વ્યાજદરને યથાવત રાખશે. તેમના કહેવા મુજબ હાલના સમયે રેટમાં કોઇપણ કડાકો કરાશે નહીં. પોલિસી રેટ યથાવત રહેશે. બીજી બાજુ કોટક ઇન્સ્ટીટ્યુશનલ ઇક્વિટીમાં વરિષ્ઠ અર્થશાસ્ત્રી સુઓદીપ રક્ષિપનું કહેવું છે કે, વ્યાજદરને યથાવત રાખવામાં આવશે. રિઝર્વ બેંકની મુખ્ય ચિંતા ફુગાવાને લઇને છે. નાણામંત્રી અરુણ જેટલીએ આ મહિનાની શરૂઆતમાં રજૂ કરવામાં આવેલા પોતાના બજેટમાં એમપીસીની જાહેરાત કરી હતી. આ પરિબળ પણ નિર્ણય લેતી વેળા ધ્યાનમાં લેવામાં આવશે. આગામી ખરીફ પાક માટે સમર્થન કિંમતો ૪૭ ટકા સુધી રહેશે. કારણ કે જેટલીના બજેટમાં ખેડૂતોના ઉત્પાદનમાં ખર્ચ પૈકી દોઢ ગણી કિંમતે એમપીસીની વાત કરી છે. રિટેલ ફુગાવો ડિસેમ્બર મહિનામાં ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં વધારો થયા બાદ ૫.૨૧ ટકા સુધી પહોંચી ગયો હતો. ઉર્જિત પટેલના નેતૃત્વમાં આ બેઠકમાં હાલમાં તેમની સામે રહેલા તમામ પાસા પર ચર્ચા કરવામાં આવનાર છે. મોટા ભાગના અર્થશાસ્ત્રી નક્કર પણે માને છે કે હાલમાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરાશે નહી.