બદાયુ ગેંગરેપ-હત્યાના મુખ્ય આરોપી મહંત પર 50 હજારનું ઇનામ જાહેર : NSA હેઠળ થશે કાર્યવાહી ::STF કરશે તપાસ
અત્યાર સુધી કુલ બે આરોપીની ધરપકડ: મુખ્ય આરોપી મહંત સત્યનારાયણ ફરાર
ઉત્તર પ્રદેશના બદાયુમાં મહિલા સાથે ગેન્ગરેપ બાદ હત્યાના કેસમાં મુખ્ય આરોપીને પકડવા માટે સીએમ યોગી આદિત્યનાથે STFને આદેશ આપ્યા છે. જિલ્લા પોલીસ સાથે STF પણ કેસની તપાસ કરશે. સાથે જ આરોપીઓ પર NSA હેઠળ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે બદાયુંની ઘટના નિંદનીય છે. આ ઘટનામાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાના દોષીઓને કોઇ પણ ભોગે છોડવામાં નહી આે. આ ઘટનાના મુખ્ય આરોપી પર 50 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યુ છે. મુખ્ય આરોપી મહંત સત્યનારાયણ ફરાર છે.
બુધવારે બદાયુ જિલ્લામાં આ ઘટના સામે આવી હતી. ઉધૈતી વિસ્તારમાં રવિવાર રાત્રે 50 વર્ષીય મહિલા પોતાના ગામના મંદિરમાં પૂજા કરવા માટે ગઇ હતી. જે બાદ મહિલાનો શબ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. પોલીસે જ્યારે આ ઘટનાની તપાસ શરૂ કરી અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગેન્ગરેપની પૃષ્ટી થઇ હતી.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, મહિલાના ગુપ્તાંગ પર ઇજા છે અને મહિલાનું પગ પણ ફ્રેક્ચર છે. પોલીસે આ મામલે ગેન્ગરેપ, હત્યાનો કેસ નોંધ્યો હતો અને ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે એક્શન માટે ચાર ટીમ બનાવી છે
આ ઘટનામાં બેદરકારી દાખવવાના આરોપમાં ઉધૈતીના પોલીસ સ્ટેશનના પ્રભારી રાઘવેન્દ્રને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ મુખ્ય આરોપી મહંત સત્યનારાયણને શોધી રહી છે. બીજી તરફ ડીએમે કહ્યુ કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે.