૭૦૨ ખેડૂતોના નામ કેન્દ્રને મોકલતા આંદોલનકારીઓ
ખેડૂત આંદોલનમાં મૃત્યના આંકડા ન હોવાનો કેન્દ્રનો દાવો : સરકાર સમક્ષ ૬ માંગણીઓ મુકવામાં આવી હતી, તમામ માગણી પૂરી થશે તે બાદ જઈશું એવી ખેડૂતોની ચેતવણી
નવી દિલ્હી, તા.૪ : સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂત આંદોલન દરમિયાન ૭૦૨ ખેડૂતો માર્યા ગયા હોવાનો દાવો કરીને આ તમામ ખેડૂતોના નામ કેન્દ્ર સરકારને મોકલી આપ્યા છે.
ખેડૂત નેતા દર્શન પાલે ઉપરોક્ત જાણકારી આપતા કહ્યુ હતુ કે, જેમના નામ મોકલ્યા છે તે તમામ ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવ્યા છે.બીજી તરફ ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવે કહ્યુ હતુ કે, સરકાર સમક્ષ ૬ માંગણીઓ મુકવામાં આવી હતી.સરકારે તેના પર શું કાર્યવાહી અત્યાર સુધી કરી તે જાણકારી આપે.તમામ માંગણીઓ પૂરી થશે તે બાદ અમે અહીંથી જઈશું.
ઉલ્લેખનીય છે કે, આજે સંયુક્ત કિસાન મોરચાની એક અગત્યની બેઠક મળવાની છે અને તેના પહેલા હરિયાણાના ખેડૂત સંગઠનોએ પોતાની આંતરિક બેઠક બોલાવી છે.
બીજી તરફ કેન્દ્રના કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરનુ કહેવુ છે કે, યુપી સહિત દેશના રાજ્યોમાં ખેડૂતોની આવક વધી રહી છે.સરકારની યોજનાઓ અને સહાયના પગલે ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ રહયો છે.પીએમ કિસાન યોજના હેઠળ કુલ ૨.૫૬ કરોડ ખેડૂતોને ૩૮૦૦૦ રુપિયાની સહાય તેમના બેક્ન એકાઉન્ટમાં સીધી આપવામાં આવી છે.