કૃષિ ધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોને તાત્કાલિક હટાવો : શહેરની બોર્ડર તથા રસ્તાઓ ચક્કાજામ થઇ જતા હોવાથી આવશ્યક સેવાઓની હેરફેરમાં મુશ્કેલી
દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં અવરોધ : કોરોના વાઇરસ ફેલાવાનો ડર : સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી
નવી દિલ્હી તા. ૫ : કેન્દ્ર સરકારે પસાર કરાવેલો કૃષિ ધારો ખેડૂતોને નુકશાન કરનારો છે. તે પાછો ખેંચવો જોઈએ તેવી માંગણી સાથે પંજાબ સહિતના રાજયોના હજારો ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે.તથા આ ધારો પાછો ખેંચવા માટે છેલ્લા ૯ દિવસ જેટલા સમયથી દેખાવો કરી રહ્યા છે.તેમની સાથે સરકારે કરેલી મંત્રણા પણ નિષ્ફળ નીવડી છે.
આ સંજોગોમાં ખેડૂતો દ્વારા થઇ રહેલા દેખાવોને કારણે શહેરની બોર્ડર તથા રસ્તાઓ ચક્કા જામ થઇ ગયા હોવાથી આવશ્યક સેવાઓની હેરફેર કરવામાં મુશ્કેલી પડી રહી છે. દર્દીઓને હોસ્પિટલે પહોંચવામાં અવરોધ ઉભો થઇ રહ્યો છે.તેમજ વર્તમાન કોરોના રોગચાળાને કારણે આંદોલનમાં ભેગા થયેલા હજારો લોકોને કારણે કોરોનાનો ફેલાવો વધવાની ભીતિ છે.જે બાબત સમગ્ર દેશ માટે ખતરનાક પુરવાર થઇ શકે છે.
ઉપરોકત કારણોસર સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ ઓમપ્રકાશ પરિહરે જાહેર હિતની પિટિશન દાખલ કરી છે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.